અમદાવાદ: પંજાબ નેશનલ બેંકને રૂ. ૧૧૭૦૦ કરોડનો ચૂનો લગાવીને વિદેશ ભાગી જનાર નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીના લોનકાંડની સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ મામલામાં ગુજરાતના અનેક બ્રાન્ડ સ્ટોરના નામ પણ સંડોવાયાં છે અને તેમની તપાસ આયકર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાતના શોપર્સ સ્ટોપમાં કાર્યરત ગીતાંજલિ સ્ટોર્સમાં અને નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીની જ્વેલરી વેચાતી હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. જેને પગલે અમદાવાદ ઈડીના અધિકારીઓ ઈડીના અધિકારીઓએ વસ્ત્રાપુર આલ્ફાવન મોલના શોપર્સ સ્ટોપના ગીતાંજલિ સ્ટોર્સમાં સર્ચ આદરી હતી અને રૂ. એક કરોડની જ્વેલરી સીઝ કરી હતી. આ ઉપરાંત સીજી રોડ પરના શોપર્સ સ્ટોપના ગીતાંજલિ સ્ટોરની તપાસનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અમદાવાદ ઈડીએ અમદાવાદની બે પ્રિમાઇસીસ ઉપરાંત વડોદરામાં આવેલા શોપર્સ સ્ટોપ અને વાપીના યુનિટમાં પણ દરોડા પાડીને સર્ચની કામગીરી આદરી છે. વાપીના યુનિટમાંથી અધિકારીઓ રૂ. ૫ કરોડની જ્વેલરી જપ્ત કરી છે.


