અમદાવાદઃ અમદાવાદ-લંડન રૂટ પર ઓપરેટ થતી એર ઇંડિયાની ડાયરેક્ટ ફ્લાઇટ AI 171 દુર્ઘટનાગ્રસ્ત થયાને સપ્તાહ વીતવા આવ્યું છે સ્વજનોનાં ડૂસ્કાં શમ્યાં નથી. અને શમે પણ કઇ રીતે? સ્વજનને રાજીખુશી, હસતાં-રમતાં વિદાય આપી હતી, અને પળભરમાં તો તેઓ હતા ન હતા થઇ ગયા હતા.
241 પ્રવાસીઓ સહિત 279 માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાનો ભોગ બનેલા સહુ કોઇ અંતરમાં આશા - અરમાન સાથે રવાના થયા હતા. કોઇ દીકરી પાસે લંડન જઇ રહ્યું હતું તો કોઇ દીકરા પાસે. કોઇ વતનમાં પરિવાર સાથે રજા માણીને બ્રિટન પરત જઇ રહ્યું હતું તો કોઇ વળી સુખીસમૃદ્ધ જીવનની આશાએ પરિવાર સાથે સ્થળાંતર કરી રહ્યું હતું. પરંતુ એક મિનિટથી પણ ઓછા સમયમાં બધું ભસ્મીભૂત થઇ ગયું.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 12 જૂને ઉપડેલી ફ્લાઇટ 40 સેકન્ડમાં તો પાસેની મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાઇને અગનગોળો બની ગઇ. 1000 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં મોટા ભાગના પ્રવાસી તો તે જ ઘડીએ સળગીને ભડથું થઇ ગયા, પરંતુ આ વિમાન બી.જે. મેડિકલ કોલેજની મેસ સાથે ટકરાતાં મેડિકલ સ્ટુડન્ટ્સ સહિતના ત્યાં કામ કરતાં બીજા લોકો અને કેટલાક રાહદારી પણ માર્યા ગયા. ઘટનાનો ભોગ બનેલાઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીનો પણ સમાવેશ થાય છે.
જોકે આમાં એક નસીબનો બળિયો અપવાદ છે. દીવના વતની અને લેસ્ટરમાં વસતાં વિશ્વાસ-કુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વિશ્વની ખ્યાતનામ ગણાતી બોઇંગ કંપનીનું અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવતું ડ્રીમલાઇનર સીરિઝનું વિમાન ક્યા કારણસર તૂટી પડ્યું તેનું પ્રાથમિક કારણ પણ હજુ જાણવા મળ્યું નથી. આ વિમાન માટે કહેવાય છે કે તેનું એક એન્જિન બંધ પડી જાય તો પણ માત્ર એક એન્જિનના સહારે છેક અમદાવાદથી લંડન પહોંચવાની ક્ષમતા ધરાવે છે, તો પછી એવું તે શું થયું કે હવામાં જ તેના બન્ને એન્જિન બંધ પડી ગયા? નિષ્ણાતો અત્યારે તો માથું ખંજવાળે છે. ફ્લાઇટનું બ્લેક બોક્સ મળ્યું છે, અને હવે તપાસનીશ એજન્સીઓ તપાસ કરશે ત્યારે સંભવતઃ ઘટનાનું સાચું કારણ બહાર આવશે. અત્યારે તો એર ઇંડિયાએ પેસેન્જરોને રૂ. 1.25 - 1.25 કરોડનું વળતર જાહેર કરીને AI 171 ફ્લાઇટ કોડ કાયમી ધોરણે કેન્સલ કરવાની જાહેરાત કરી છે, અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.