દ્વારકાઃ વાયુ વાવાઝોડું ગુજરાતના કાંઠેથી ઓમાન તરફ ફંટાયું હતું, પણ તેની અસર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ૧૦ કિલોમીટર સુધી જોવા મળી હતી. ૧૩મીએ વાવાઝોડાની અસરના લીધે દ્વારકા તટે ૮૦થી ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના લીધે દ્વારકાધીશ મંદિર પર ચડાવવામાં આવતી પવિત્ર બાવન ગજની ધજાને બદલવી અશક્ય બની હતી. જેના કારણે દ્વારકાના ઇતિહાસમાં પહેલી વખત મંદિર પર બીજી ધજા ચઢાવવામાં આવી હતી. બાવન ગજની આ પવિત્ર ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. દ્વારકાધીશના ધામ પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી નિહાળી શકાય છે. આ ધજાનું ભક્તોમાં અનેરું મહત્ત્વ છે. તેના કારણે પરંપરાને અતૂટ રાખવા માટે બીજી ધજાને પ્રથમ ધજાની નીચે ચઢાવવામાં આવી હતી.