ગાંધીનગરઃ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ તાજેતરમાં બ્રિટિશર લેખક ફિલિપને ટાંકીને ટ્વિટ કરી હતી કે, ગુજરાત પાસે માત્ર પૈસો છે, સંસ્કૃતિ નથી જ્યારે બંગાળ પાસે સંસ્કૃતિ છે! આ અભિપ્રાય બ્રિટિશરે આઠેક દાયકા અગાઉ આપ્યો હોવાનું ગુહાએ જણાવ્યું હતું. ગુહાની વિવાદાસ્પદ ટ્વિટ પછી #GuhaDividesIndia પર લોકોએ રામચંદ્ર ગુહાને સણસણતા જવાબો આપ્યા છે. આ જવાબો આપનારાઓમાં ગુજરાતના મુખ્ય પ્રધાન રૂપાણીથી લઈને રાજકીય નેતાઓ, ઈતિહાસકારો અને બિનગુજરાતીઓ પણ હતા. લોકોએ ગુહાને ચોપડાવ્યું છે કે ગુજરાત એવું રાજ્ય છે કે જેણે અન્ય રાજ્યોના લોકોને પણ પોતાનામાં સમાવ્યા છે. પારસીઓને પોતાના પ્રદેશમાં આશરો આપ્યો એ ગુજરાતી સંસ્કૃતિની મહાનતા છે. ગુજરાતની સંસ્કૃતિ કોઈ ગુહા કે ફિલિપના સર્ટિફિકેટની મોહતાજ નથી.
જાણીતા લેખક, પત્રકાર અને ઈતિહાસકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે, ગુજરાત અને પશ્ચિમ બંગાળ વચ્ચે કડવાશ ઊભો કરવાનો પ્રયાસ ગુહાએ કર્યો છે. દેશના વડા પ્રધાન ગુજરાતી છે તે તેમને પેટમાં દુઃખે છે. ફિલિપ સ્પ્રાટ સામ્યવાદી લેખક છે. જેને જોયા જાણ્યા વગર ગુહાએ કટ, કોપી, પેસ્ટ કર્યાં છે. ગુજરાત યુનિ.ના ઈતિહાસ વિભાગના વડા પ્રો. અરુણ વાઘેલાએ જણાવ્યું કે, આટલા મોટા ગજાનાં ઇતિહાસકારને ગુજરાતનો ભવ્ય સાંસ્કૃતિક ઇતિહાસ ન ખબર હોય તે શરમજનક છે. હડપ્પા-સિંધુ સંસ્કૃતિનાં મોટા મથકો ગુજરાતમાં છે. વલ્લભી બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર રહ્યું છે. વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ અને ચાંપાનેર ગુજરાતમાં છે. તેની તેમને જાણ નથી?
બંગાળીઓનો પણ રોષ
કાલીબારી - અમદાવાદના પૂર્વ પ્રમુખ એસ. ચક્રવર્તી જણાવે છે કે, હું ૪૦ વર્ષથી ગુજરાતમાં રહું છું. આ પ્રકારની સરખામણી બિનજરૂરી છે. ગુહાએ પોલિટિકલ ટ્વિટ કરીને ગુજરાત-બંગાળ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતની ભવ્ય સંસ્કૃતિનાં અમે સાક્ષી રહ્યા છીએ.
સરદાર પટેલ યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઇડ એન્ડ ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સિસના વડા પ્રો. સુનિલ ચાકીએ જણાવ્યું કે, ગુજરાતમાં ભવ્ય સ્થાપત્યો - મંદિરો અને વાવ છે. ગુજરાતમાં વડીલોને માન આપવાની સંસ્કૃતિ છે. અહીંની સંસ્કૃતિમાં પી સી વૈદ્ય જેવા ગણિતજ્ઞો તો નર્મદ, મેઘાણી અને નરસિંહ મહેતા જેવા સર્જકોનાં મૂળ છે. ગુજરાત સાંસ્કૃતિક વારસામાં જરાય ઉતરતું નથી.
ઉલ્લેખનીય છે કે ગુહાના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પુસ્તક ‘ગાંધી - ધ ઈયર્સ ધેટ ચેજન્ડ ધ વર્લ્ડ’માં તેઓએ મૂળ ગુજરાતી મહાત્મા ગાંધીજીનાં ત્રણ દાયકાની સફરનો જ ઉલ્લેખ અને વખાણ કર્યાં છે.