અમદાવાદઃ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓપરેટ થતી ઈન્ટરનેશનલ ફ્લાઈટોને પેસેન્જર ટ્રાફિક નહિ મળતો હોવાથી નજીકના દિવસોમાં રૂટ કેન્સલ કરી દેવામાં આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કોરોનાના વધતા કેસ અને આરટી-પીસીઆર રિપોર્ટ સમયસર નહિ મળતા પેસેન્જરોની સંખ્યા ઘટી ગઈ છે. ગત માર્ચ મહિનાથી સિંગાપુર એરલાઇન્સે કામગીરી બંધ કરી છે. આજે એક વર્ષ થઈ ગયું છતાં સિંગાપુર એરલાઈન્સ શરૂ થઈ શકી નથી.
અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી પાંચ ઇન્ટરનેશનલ ફ્લાઈટોના શિડ્યુલ ઓપરેશન બંધ થઈ ગયા છે તો બીજી તરફ સિંગાપોર એરલાઇન્સના શટર પડી ગયા છે. એક વર્ષથી સિંગાપોર એરલાઇન્સનું ઓપરેશન બંધ રાખવામાં આવ્યું છે. પાંચ ઇન્ટરનેશનલ ફ્લાઇટોને પેસેન્જરો નહિ મળતા રૂટ પણ ઓછાં કરી દેવાયા છે. ગત માર્ચ મહિનાની ૨૩ તારીખ પછી ઇન્ટરનેશનલ ફ્લાઈટોના ઓપરેશન બંધ થઈ ગયા છે.
લોકડાઉન ખુલ્યા પછી અમદાવાદ એરપોર્ટ પરથી એમિરેટ્સની ૪ ફ્લાઈટ, કતાર એરલાઇન્સની ૨, એતિહાદની ૨, દુબઈની ૫ અને એર અરેબિયાની ૪ ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે. કેટલાક કર્મચારીનો નોકરી પણ ગુમાવવી પડી છે. એવી ઘણી એરલાઈન્સ કંપનીઓ છે જેમણે કર્મચારીઓને છુટા કરી દીધા છે. હાલ ફ્લાઈટોના શિડ્યુલ ક્યારે નિયમિત થશે તેની કોઈ જાણ એરલાઈન્સ કંપનીઓને કરાઈ નથી. ઇતિહાદ એરલાઈન્સ અને એર અરેબિયા ઉપરાંત કતાર એરલાઈન્સને પેસેન્જરોનો ટ્રાફિક ઓછો મળી રહ્યો છે.