મહેસાણાઃ ભાજપને હંફાવવા કોંગ્રેસ પણ સોફ્ટ હિંદુત્વનું કાર્ડ અજમાવી રહી છે. રાહુલ ગાંધી છેલ્લા પ્રવાસોમાં હિન્દુ ધાર્મિક સ્થળોનાં દર્શને ગયા હતા. આગામી ૧૧થી ૧૩ નવેમ્બરએ રાહુલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. વખતે પણ તેઓ અંબાજી, બહુચરાજી, જૈનોના શ્રદ્ધાધામ શંખેશ્વર, આદિવાસી સમાજના આરાધ્યદેવ કાળિયા ઠાકરના ધામ શામળાજી તેમજ સમસ્ત ભરવાડ સમાજની થરા સ્થિત ગુરુગાદીના દર્શને ગયા હતા. યાત્રાધામોમાં હાલ અંબાજી (દાંતા), શામળાજી (ભિલોડા) અને થરા (કાંકરેજ) બેઠક હાલ કોંગ્રેસ પાસે છે. જ્યારે બહુચરાજી અને શંખેશ્વર (ચાણસ્મા) બેઠક ભાજપ પાસે છે. અગાઉ રાહુલે ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. ૧૯૮૦થી ભાજપે કમળના નિશાન પર ચૂંટણી લડવાની શરૂઆત કરી. ત્યારથી લઈને ૨૦૧૨ સુધીની ૮ વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના ૬ પ્રસિદ્ધ યાત્રાધામો જે વિધાનસભા મતક્ષેત્રોમાં આવેલા છે, ત્યાંના મતદારોમાં ભાજપ અને કોંગ્રેસ તરફે સરખું વલણ જોવા મળે છે.
• અંબાજીઃ ૮માંથી ૫માં કોંગ્રેસની જીત
દાંતા વિધાનસભા મતક્ષેત્રના અંબાજીમાં ૮ ચૂંટણીમાં કોંગ્રેસને ૫મા અને ભાજપને ૨મા જીત મળી છે. ૧૯૯૮ પછી અહીં કોંગ્રેસ સત્તાસ્થાને છે.
• ઊંઝાઃ સતત ૫ ટર્મથી ભાજપ પાસે
કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજી જ્યાં બિરાજમાન છે તે ઊંઝા મતક્ષેત્રમાં ભાજપ છેલ્લી ૫ ટર્મથી ચૂંટાય છે. કોંગ્રેસ બેઠક પર ખાતું ખોલાવી શકી નથી.
• બહુચરાજીઃ ૮માંથી ૫ ચૂંટણીમાં ભાજપ જીત્યો
નવા સીમાંકનમાં બહુચરાજી બેઠક બની છે. અહીં ભાજપ ૫ વાર અને કોંગ્રેસ ૨ વાર જીત્યો છે. એક વાર અપક્ષને તક મળી છે. ૨ ટર્મથી અહીં ભાજપના ઉમેદવાર જીતે છે.
• શામળાજીઃ કોંગ્રેસનો ૬ વખત વિજયડંકો
ભિલોડા મતક્ષેત્રમાં કોંગ્રેસનો દબદબો છે. ૮ ચૂંટણીમાં ૬ વખત જીતી છે.
• થરાઃ ૪ ચૂંટણીમાં કોંગ્રેસની જીત
અહીં કોંગ્રેસની બોલબાલા છે. ૪ વખત કોંગ્રેસ અને ૨ વખત ભાજપને જીત મળી છે.