વિસનગરઃ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી તે કહેવત સાચી ઠેરવતો બનાવ વિસનગરમાં બન્યો છે. એક ફાઈનાન્સ પેઢીએ આરટીજીએસથી રૂપિયા લઈ અને ઊંચું વ્યાજ આપી એકના ડબલની લાલચ આપી મોટી ડીપોઝિટ લીધા બાદ હાથ અદ્ધર કરી દેતાં આ ફાઈનાન્સ પેઢી રૂ. ૩૦૦થી ૪૦૦ કરોડનું ઊઠમણું કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે. વિસનગરમાં કાંસા ચાર રસ્તા પાસે એક ફાઈનાન્સ કંપની ડીપોઝિટ પર માસિક ૧૦થી ૧૫ ટકા ઊંચું વ્યાજ આપતા હોવાથી વિસનગર અને બહારના ડીપોઝિટરોની લાઈન લાગી હતી. નાણાં રોકનારને શક ન જાય તે માટે આ ભાગીદાર પિતા, પુત્ર આરટીજીએસથી ડીપોઝિટ લેતા હતા અને વ્યાજ પણ આરટીજીએસથી આપતા હતા. એક વર્ષ પહેલાં તો એવી પરિસ્થિતિ હતી કે ડીપોઝિટ આપવા લોકોની લાઈનો લાગતી હતી. છેલ્લા બે માસથી આ ફાઈનાન્સ પેઢીએ મૂડી કે વ્યાજ બંધ કરતા ડીપોઝિટરોના જીવ તાળવે ચોંટી ગયા છે.
વિસનગરમાં થતી ચર્ચા મુજબ આ પેઢીમાં રૂ. ૩૦૦ કરોડ જેટલું રોકાણ રોકાણકારોએ કર્યું છે. જો આ પેઢી ઊઠી ગઈ હોય તો કુલ રૂ. ૩૦૦ કરોડ ડૂબી જાય તેવી શક્યતા છે.