કડી: કડીના ટાંકિયા મુકામે રહેતા અને કાલુપુર સ્થિત સ્વામીનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ મૂળે માણસાના મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા ડાંગરવા ગામની નવવધૂને લઈને ભાગી ગયા હોવાની વિગતો ખૂલી છે. યુવતી મંદિરે દર્શનાર્થે આવતી હતી અને સ્વામીએ તેને પ્રેમજાળમાં ફસાવી હોવાની ચર્ચા છે. બીજી તરફ ગામના હરિભક્તો અને બહેનો દ્વારા સમગ્ર મામલો કાલુપુર સ્વામીનારાયણ મંદિરે પહોંચતા મંદિર સંપ્રદાય દ્વારા માધવપ્રિયદાસનું નામ સ્વામીનારાયણ સંપ્રદાયના ત્યાગી પત્રકમાંથી કાઢી નાંખવામાં આવ્યું છે.
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસજી ઉર્ફે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા કડી તાલુકાના ટાંકિયા મુકામે રહી હરિભક્તિ કરતા હતા. એક ચર્ચા પ્રમાણે યુવતી અવાર-નવાર મંદિરમાં દર્શનાર્થે આવતી હતી તે વખતે સાધુ માધવપ્રિયદાસે પ્રેમજાળમાં ફસાવી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. દરમિયાન પહેલી માર્ચના રોજ યુવતીને લઈ ફરાર થઈ ગયા હતા. ડાંગરવા ગામની યુવતીને સમાજના રીતરિવાજ મુજબ અંદાજિત ૪૦ દિવસ પહેલાં જ પરણાવવામાં આવી હતી અને સાધુ માધવપ્રિયદાસ લઈ ફરાર થઈ જતા આ અંગે હરિભક્તો દ્વારા અમદાવાદ સ્થિત કાલુપુર સ્વામીનારાયણ મંદિરે રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે કાલુપુર સ્વામીનારાયણ મંદિર સંપ્રદાય દ્વારા માધવપ્રિયદાસનું નામ સ્વામીનારાયણ સંપ્રદાયના ત્યાગી પત્રકમાંથી કમી કરવામાં આવ્યું છે.