પાટણઃ સિદ્ધપુરના કલ્યાણા નજીકના માર્ગ ઉપર ૧૧મી ડિસેમ્બરે સ્થાનિક પોલીસકર્મીઓ અને દારૂથી ભરેલી એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે નિર્દોષ બાઈક સવારનાં મોત થયાં હતાં જ્યારે એક વ્યક્તિને તાત્કાલિક નજીકના દવાખાને દાખલ કરાયો હતો જેની હાલત ગંભીર હતી. અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ હતી. ઘટના બાદ રોડ પર લોકોના ટોળે-ટોળા એકઠા થયાં હતાં. તેમજ પોલીસના આ કૃત્યથી લોકોમાં પોલીસ સામે ભારે રોષની લાગણી ફેલાઈ હતી. રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ અધિક્ષકને ઘટનાના સ્થળે બોલાવવા માટે પણ રજૂઆત કરી હતી. નિર્દોષનાં મોત થતાં ગ્રામજનોએ ટ્રાફિક જામ કરી રસ્તા બંધ કરાવ્યા હતા.