વડગામઃ ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં ઉડીને અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે ગુજરાતના વિકાસના સોગંદ ખાધા હતા તો કોંગ્રેસમાં જોડાયેલા ઓબીસી એકતા મંચના સંયોજક અલ્પેશ ઠાકોરે વડગામમાં મોદી પર શાબ્દિક પ્રહાર કરતાં જાહેર સભામાં કહ્યું હતું કે, 'મોદી પહેલાં મારા જેવા કાળા હતા, પણ તાઇવાનના મશરૂમ ખાવાના કારણે તેઓ ગોરા થઈ ગયા છે. તેમના ગાલ લાલ લાલ થઈ ગયા છે. અલ્પેશે કહ્યું હતું કે, મોદી માટે તાઇવાનથી ખાસ મશરૂમ મંગાવવામાં આવે છે. આ એક મશરૂમની કિંમત ૮૦ હજાર રૂપિયા હોય છે અને મોદી દિવસના પાંચ એટલે કે રોજના ચાર લાખ રૂપિયાના મશરૂમ આરોગે છે. અલ્પેશે ઉમેર્યું હતું કે, હિસાબ કરીએ તો તેઓ એક મહિનાના રૂ. એક કરોડ ૨૦ લાખના મશરૂમ ખોરાકમાં લે છે.