અમદાવાદઃ ઉત્તરાયણ અને વાસી ઉત્્તરાયણના તહેવારમાં આ વર્ષે ૧૫મીએ અમદાવાદના ન્યૂ રાણીપમાં ધાબા પર પતંગ ચગાવતા વિરલ ચોક્સી (ઉં. ૩૦)ના ગળામાં પતંગની દોરી ભરાતાં તેને સોલા સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત તહેવારના આ બે દિવસમાં પતંગની દોરીથી લોકોને ગંભીર ઇજા થઇ હોય તેવા કુલ ૨૯૦થી પણ વધુ કેસ નોંધાયા હતા. આ બે દિવસમાં રાજ્યમાં બે હજારથી વધુ પશુ-પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાંથી કેટલાક મોતને ભેટયા હતા.
રાજ્ય સરકારની એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર ઉતરાણના દિવસે ૧,૦૬૬ અને વાસી ઉતરાણના દિવસે ૧,૧૪૦ કોલ આવ્યા હતા. જેમાં પપ ટકાથી વધુ કેસોમાં પતંગની દોરીથી પશુ-પક્ષી ઘાયલ થયા હોવાનું ધ્યાને આવ્યું છે. ઉતરાયણના દિવસે ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટેના જે કોલ હેલ્પલાઇન નંબર પર આવ્યા એમાં સૌથી વધુ કોલ અમદાવાદમાંથી (૨૩૯) આવ્યા હતા. આ ઉપરાંત સુરતથી ૧૧૦, વડોદરાથી ૮૯ કોલ આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ગત વર્ષે ઉતરાણના દિવસે ૬૮૭ કોલ આવ્યા હતા. જેની સામે આ વર્ષે ૧,૦૬૨ કોલ આવ્યા છે.