ગાંધીનગરઃ એનસીપી ગુજરાતે રાજ્યની છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો ઉમેદવારો ઊભા રાખવાનું જાહેર કર્યું હતું, પરંતુ હવે માત્ર ત્રણ લોકસભા બેઠકો સુરેન્દ્રનગર, પાટણ અને પંચમહાલ ઉપરાંત વિધાનસભાની બે બેઠકો ઊંઝા અને માણાવદરમાં એના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.
એનસીપી ગુજરાત પાસે ચૂંટણી ફંડની કડકાઈ છે, તો બીજી તરફ કાર્યકરોના અભાવે સારી ફાઇટ આપી શકે એવા ઉમેદવારો નહીં હોવાથી પાર્ટી કુલ મળીને માત્ર પાંચ ઉમેદવારો ઊભા રાખી શકી છે. પૈસા વેડફવાની તૈયારી ન હોઈ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ પોરબંદર સીટ ઉપરથી ચૂંટણી લડવાનું શૂરાતન બતાવવાનું ના પાડી દીધું છે.
કઈ બેઠકો પર ઉમેદવાર
લોકસભાઃ પાટણ- કીર્તિ ચૌધરી, પંચમહાલ-વીરેન્દ્ર પટેલ, સુરેન્દ્રનગર-ઘોઘાજી પરમાર.
વિધાનસભાઃ ઊંઝા - નટુજી ઠાકોર, માણાવદર- રેશમા પટેલ.

