આ મીટિંગ દરમિયાન રાજ્ય સરકાર અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમદાવાદથી લંડન અને ન્યૂ જર્સી (અમેરિકા)ની સીધી ફ્લાઇટ તથા રાજ્યના અન્ય શહેરોમાંથી બીજી ડોમેસ્ટિક ફ્લાઇટ વધારવા માટે રજૂઆત થઇ હતી.
‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ વાતચીતમાં અશોક ગજપતિ રાજુએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદ-લંડન વચ્ચેની સીધી ફ્લાઇટ માટે પૂરતાં મુસાફરો મળતાં નથી. જો પૂરતો ટ્રાફિક મળે તો લંડનની સીધી હવાઇ સેવાઓ શરૂ થઇ શકે છે. અગાઉ પણ જેટ એરવેઝ દ્વારા પણ આ ફ્લાઇટ ચાલતી હતી, પરંતુ પ્રવાસીઓના અભાવને કારણે તે ફ્લાઇટ પણ બંધ થઇ હતી. જેટ એરવેઝ હવે આશાના એક કિરણ તરીકે આવી સીધી ફ્લાઇટ શરૂ કરી શકે છે’, તેવું પ્રધાને વધુમાં જણાવ્યું હતું. જોકે, જેટ એરવેઝના અધિકારીએ ‘ગુજરાત સમાચાર’ સાથેની ચર્ચામાં ‘અત્યારના તબક્કે આ ફ્લાઇટ શરૂ કરવાનો ઇન્કાર કર્યો હતો.’ જેટ એરવેઝનું તંત્ર અત્યારે અમદાવાદ-અબુધાબી વચ્ચે માર્ચથી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં વ્યસ્ત છે તેથી નજીકના ભવિષ્યમાં લંડનની ફ્લાઇટ શરૂ કરવાનું કોઇ આયોજન નથી.