અમદાવાદઃ ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસથી વિઝિબિલિટી ડાઉન થતા વિમાનોનાં શિડ્યુલ પર માઠી અસર પડી હતી. ચોથીએ પણ અમદાવાદથી કિશનગઢ જતી બે ફ્લાઈટને ખરાબ વાતાવરણના કારણે રદ કરી દેવાઈ હતી. જેના કારણે મુસાફરો રઝળી પડયા હતા.
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી સ્પાઇસ જેટ અને સ્ટાર એરની કિશનગઢ જતી બંને ફ્લાઈટ રદ કરાઈ હતી. જોકે આ બંને ફ્લાઈટમાં સવાર ૮૦ મુસાફરોને કડવો અનુભવ થયો હતો. એરપોર્ટ પર મુસાફરોને પાંચ કલાક સુધી બેસાડી રખાયા બાદ ફરજ પરના એરલાઇન કંપનીના ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીએ જણાવ્યું હતું કે, તમે એરપોર્ટ છોડી શકો છો, ફ્લાઈટ ઉડશે નહીં. આ સાંભળતા મુસાફરો ગુસ્સે થયા હતા. એરલાઈન કંપની અને મુસાફરો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. કલાકો બેસાડી રાખ્યા બાદ મુસાફરોને જણાવ્યું કે, કિશનગઢ એરપોર્ટ પર વિઝિબિલિટી ડાઉન હોવાથી રન-વે ક્લિયરન્સની એટીસી દ્વારા લેન્ડિગ પરમિશન મળતી નથી. જેના કારણે ફ્લાઇટ રદ કરવી પડી છે.

