એરપોર્ટ પરથી આવતા એનઆરઆઇનું ચેકિંગ હવે પીસીઆર, હોમગાર્ડ નહીં કરી શકે

Wednesday 04th December 2019 05:19 EST
 

ગાંધીનગરઃ અમદાવાદ એરપોર્ટથી આવતા એનઆરઆઇ પરિવારને પોલીસ દ્વારા હેરાનગતિ થવાની ઘટના બહાર આવતા છેક વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી ફરિયાદ પહોંચી છે. જેના પગલે ગુજરાત સરકારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ એરપોર્ટ ઉતરતા એનઆરઆઇને ચેકિંગ કરવા માટે પીસીઆર વાન, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોને બાકાત રાખવાનું નક્કી કર્યું છે. જો કે, આ માટેની ચોક્કસ માર્ગદર્શિકા ટૂંક સમયમાં ડીજીપી જાહેર કરશે તેમ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એનઆરઆઇ આપણા મહેમાન છે, તેમને કોઇપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેટલા માટે રાજ્ય સરકારના બિનનિવાસી ગુજરાત વિભાગ સાથે પણ સંકલન સાધીને પ્રશ્નો ઉદભવે નહીં તેની તકેદારી રાખીશું. ઉપરાંત એરપોર્ટ પર ઉતર્યા પછી એનઆરઆઇના ચેકિંગ માટેની કેટલીક માર્ગદર્શક સૂચના ડીજીપી પોલીસ કમિશનર અને સંબંધિત પોલીસ અધિકારીઓને સાથે રાખીને તૈયાર કરી રહ્યા છે.
ખેડાના સાંસદની ફરિયાદ
ઉલ્લેખનીય છે કે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પોતાના મતવિસ્તાર બોરસદના એક એનઆરઆઈ પરિવાર સહિત એનઆરઆઈ પ્રવાસીઓને પરેશાની કરાતી હોવાનો પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો હતો. ચૌહાણે જાડેજાને જણાવ્યું હતું કે, ચરોતર વિસ્તારના ઘણા બધા એનઆરઆઈ લોકોને અમદાવાદ એરપોર્ટની બહાર પોલીસ દ્વારા સુરક્ષાના નામે લેવાતી જડતીથી પરેશાન કરાય છે. આવા કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા. અમદાવાદ શહેરમાં જ આવી ત્રણ જુદી જુદી ઘટનાઓ ટૂંકા સમયગાળામાં નોંધાતા એનઆરઆઈ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સરકારે આ કિસ્સામાં તપાસ કરવાના આદેશ આપ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter