ગાંધીનગરઃ બે સપ્તાહથી ફરી વધુ રહેલા કોવિડ-19ના કેસ પાછળ ઓમિક્રોનનો નવો XBB1.16 વેરિઅન્ટ જવાબદાર હોવાના પ્રાથમિક અહેવાલો છે. રાજ્યનો આરોગ્ય વિભાગ કોરોનાના જેટલા નવા કેસ આવે છે તે તમામ દર્દીઓના સેમ્પલનું જિનોમ સિક્વન્સ કરાવી રહ્યુ છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોલોજી રિસર્સ સેન્ટર (GBRC)માં કરવામાં આવતા જિનોમ સિક્વન્સિંગમાં 71 કેસ પૈકી 36ના સેમ્પલમાં આ નવો વેરિઅન્ટ મળ્યો છે. આ નવા વેરિઅન્ટને કારણે ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને વિશેષતઃ શહેરીક્ષેત્રોમાં આગામી 15 દિવસ મહત્વના બની રહેશે.
આરોગ્ય કમિશનરેટમાં કોવિડ-19ની મહામારી પર નજર રાખી રહેલા નિષ્ણાતોએ કહ્યું કે, નવો સબ વેરિઅન્ટ કેટલો ઘાતક છે તે અંગે કોઈ નક્કર પૃથ્થકરણ થયુ નથી. પરંતુ, એ ઓમિક્રોનનો જ વેરિઅન્ટ છે એથી જોઓ કોવિડ-19 પ્રતિરોધક રસીથી વેક્સિનેટેડ થયેલા છે તેમના માટે પ્રમાણમાં ઓછો જોખમી છે એમ પ્રારંભિક અહેવાલોને આધારે કહી શકાય.
આમ છતાંયે જેઓ કો-મોર્બિડ અવસ્થામાં છે તે અને વૃધ્ધો તેમજ ગર્ભવતી સ્ત્રીઓ માટે સતર્કતા રાખવી અનિવાર્ય છે કારણ કે હાલમાં જે રીતે કોવિડ-૧૯નો ચેપ પ્રસરી રહ્યો છે તેના કારણે એક્ટિવ દર્દીઓની સંખ્યા ૮૧૦એ પહોચી ગઈ છે. પાંચ દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવા પડ્યા છે.