ભોટા ભાડિયાઃ મોટા ભાડિયા ગામના દેવાંગ માણેક ગઢવીના ગુમ થવાની ફરિયાદ અગાઉ પોલીસમાં નોંધાઈ હતી. એ પછી પોલીસે તપાસ કરતાં તેની લાશને ૧૦૦ ફૂટ ઊંડા બોરમાં ફેંકી હોવાનું જાણવા મળ્યું હતું. ૧૯મી ફેબ્રુઆરીએ બપોરે બે વાગ્યાથી તેના મૃતદેહને બહાર કાઢવા પોલીસતંત્ર કામે લાગ્યું હતું અને ૨૪મીએ મૃતકનો પાંચ કટકામાં વિભાજિત દેહ પોલીસે ખાડામાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે જણાવ્યા પ્રમાણે, મૃતકના પિતા માણેકભાઈએ આ કેસમાં રામ પબુ ગઢવી, ખીમરાજ ગઢવી અને નારાણ તુરિયા વિરુદ્ધ પુત્રના અપહરણ અને હત્યાની ફરિયાદ નોંધાવી હતી. રામ અને ખીમરાજ દારુની હેરફેરના ગુનામાં જેલવાસમાં છે.
પોલીસે નારાણ તુરિયાની ધરપકડ કરી છે અને ૨૬મીએ નારાણ ગઢવીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. પોલીસે જણાવ્યું છે કે માણેકભાઈએ ફરિયાદમાં એવું પણ નોંધાવ્યું છે કે, રામનાં પત્ની નાગશ્રીબહેન સાથે આડા સંબંધની શંકાના કારણે કદાચ પુત્રની હત્યા થઈ હોઈ શકે છે.