ભુજઃ મૂળ ભુજપુરના અને અમેરિકા રહેતા પીટર ભેદા અને ડોરોથી ભેદાના આર્થિક સહયોગથી અદ્યતન સાધનો જયા રિહેબિલિટેશન સેન્ટરને ૧૨મીએ ભેટ અપાયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ ૪૩મા કેમ્પની વિસ્તૃત વિગતો આપીને કચ્છી દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. છેડાએ કહ્યું કે, દાતાએ આપેલા અનવેઇટ ટ્રેડ મિલ દર્દીને આરામથી ચાલવાની તાલીમ આપવા ઉપયોગી થશે. પેઇન મેનેજમેન્ટના સાધનોની મદદથી દર્દીઓના દુ:ખાવા દૂર થશે.
દાતાઓએ કહ્યું કે, સોલ્ડર સી.પી.એમ. કવાડ્રીસેપ્સ, ટેબલ તેમજ રિલ્ટ ટેબલ જેવા સાધનો દર્દીઓને સારવાર માટે ટૂંક સમયમાં જયા રિહેબમાં પહોંચી જશે. આ પ્રસંગે ટ્રસ્ટીઓ નાનજીભાઇ છેડા, હરખચંદ સાવલા, રમેશભાઇ મહેતા, શાંતિભાઇ વીરા ઉપરાંત દેવચંદ ફુરિયા, ડો. શૈલેન્દ્ર ચતુર્વેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જયા રિહેબના ડાયરેકટર મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, દાતાઓના સહયોગથી જયા રિહેબમાં અત્યંત આધુનિક સાધનો વસાવાયાં છે અને દર્દીઓના પુનર્વસન માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે. જયાબેન તથા અરવિંદભાઇ શાહ તરફથી જરૂરતમંદ દર્દીઓને આર્થિક સહયોગ કે સાધનો ઘણીવાર અપાય છે. આ પ્રસંગે કુબલ, અશોક ત્રિવેદી, પ્રવીરા રાઠોડ, મેહુલ ગોર, ભરત સંઘાર, જી.એસ. સૈયદ વિ. સહયોગી રહ્યા હતા.