ખારાઘોડાઃ નર્મદા ડેમમાં પાણી ખૂટી જતાં ગુજરાતમાં જળસંકટ ઊભું થયું છે. નર્મદાના નીરના ફ્લોપ મેનેજમેન્ટના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદા કેનાલનું પાણી છેલ્લા આઠ વર્ષથી પચાસ કિ.મી. કરતાંય વધારે વિસ્તારની ધમરોળી રહ્યું છે. જેના કારણે અગરિયાઓની રોજગારી છીનવાઈ ગઈ છે. કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે વડાગરા મીઠાંની ખેતી કરીને અગરિયાઓ પોતાનો પેટનો ખાડો પૂરે છે. જોકે, દર વર્ષે નર્મદાના પાણી ધસમસતાં આવે છે અને મહિનાઓ સુધી મીઠાંના અગરને ડૂબાડી દે છે. જીવતરના બે છેડાં માંડ ભેગા કરતા અગરિયાઓને અંતે તો આ માનવીય આફત દેવામાં ડૂબાડી દે છે. ઘણા બધા અગરિયાઓ કંટાળીને મીઠાંના ઉત્પાદનને તિલાંજલિ પણ આપી રહ્યા છે.