ભુજઃ નલિયા સામૂહિક દુષ્કર્મકાંડનો અત્યાર સુધી વણઓળખાયેલો નવમો આરોપી હવે કદાચ ક્યારેય ઓળખાય નહીં અને તે કાયદાના સકંજામાંથી આબાદ બચી જાય તેવો સજ્જડ બંદોબસ્ત પોલીસ કરી રહી છે. આ કેસ આઠ આરોપી પૂરતો જ સીમિત કરી દેવા પોલીસ હવે પ્રતિષ્ઠિત લોકોના નિવેદન લઈ રહી છે.
હાલમાં જ આ કેસ મામલે પોલીસને મીડિયા દ્વારા કેટલાક સવાલો કરાયા તે અંગે પોલીસે આપેલા જવાબ પરથી એવું તારણ નીકળે છે કે કોઈ સેક્સ રેકેટ ચાલતું જ નથી તેમજ વિપુલ ઠક્કર નામનો કોઈ માણસ જ નથી. વળી પોલીસ એવું પણ ઉમેરે છે કે પાયલ નામની કોઈ યુવતી પણ નથી. આ પછી પોલીસને પૂછવામાં આવે કે આ બધું કોના હિતાર્થે અને સૂચનાથી થઈ રહ્યું છે? તો તેના પોલીસ પાસે જવાબ પણ નથી. માત્ર પોલીસ એટલું જ જણાવે છે કે આ બધું અદાલતી કાર્યવાહી માટે થતું હોવાનો જવાબ આપે છે. લોકશાહીમાં પ્રજાનાં દુઃખ દર્દ જાણવાને બદલે શાસકો એવા લોકોને અંધાર પિછોડો ઓઢાળે છે જેને ખરેખર સજાની જરૂર હોય. નલિયા સામૂહિક દુષ્કર્મકાંડમાં વિપુલ ઠક્કર નામનાં આરોપી ફરતે એક આવરણ રચાઈ ગયું છે. તેની ખરી ઓળખ પ્રથમ પોલીસને મળી ગઈ હતી જે પોલીસે એક પ્રેસ યાદીમાં પણ જણાવ્યું હતું. અચાનક જ એ આરોપી રહસ્યમય બની ગયો અને હવે ઓળખાતો નથી.
વધુ પાંચ આરોપીઓ જેલમાં
જોકે આ કાંડમાં ઝડપાયેલા ૮માંથી વિનોદ ઠક્કર ઉર્ફે બબ્બો શેઠ તથા નલિયા ગ્રામપંચાયતના સદસ્ય ચેતન ઠક્કર અને અશ્વિન ઠક્કરને અગાઉ રિમાન્ડ પૂરા થતાં કોર્ટે કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો અને તમામને પાલારા જેલ મોકલી અપાયા હતા. કાંડના મુખ્ય સૂત્રધાર શાંતિલાલ સોલંકી ઉર્ફે મામા, ભરત દરજી, ગાંધીધામના ભાજપના બે નગરસેવક વસંત ભાનુશાલી, અજિત રામવાણી તથા શહેર ભાજપ મહામંત્રી ગોવિંદ પારૂમલાણીના પણ રિમાન્ડ પૂરા થતાં પાંચેયને નલિયા કોર્ટે પાલારા જેલમાં મોકલી આપવાનો હુકમ ૨૩મીએ કર્યો હતો.