માતાના મઢઃ વ્યાપકપણે ફેલાયેલી કોરોના મહામારીને લીધે શક્તિપીઠના ઈતિહાસમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. દયાપરમાં તાજેતરમાં ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અશ્વિન નવરાત્રી મહોત્સવ દરમિયાન આ પ્રસિદ્ધ યાત્રાધામમાં દર્શનાર્થીઓ અને પદયાત્રિકો માટે દર્શન બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. આમ મંદિરના દ્વાર જ બંધ રહેશે. દર વર્ષે અશ્વિન નવરાત્રીમાં લાખ્ખો માઈભક્તો મા આશાપુરાજીના દર્શન કરવા આવે છે, પણ આ વર્ષે દેશ સહિત કચ્છમાં કોરોના વધતાં સરકાર દ્વારા મઢ બંધ રહેશે.
નવરાત્રી દરમિયાન પૂજા - વિધિ, હવન તેમ જ માતાજીની સેવાપૂજા, માતાના મઢ જાગીરના અધ્યક્ષ મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજી-પૂજારી દ્વારા નિત્યક્રમે ચાલુ રખાશે. મા આશાપુરાજીના મુખ્ય સ્થાનક માતાના મઢ સાથે લાખ્ખો માઈભક્તોની આસ્થા જોડાયેલી છે તે જોતાં મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા યુ-ટ્યુબ પર લાઈવ દર્શનની વ્યવસ્થા રાખવામાં આવશે. માઈભક્તો ઘરબેઠાં દર્શન કરી શકશે અને નવરાત્રિમાં આરાધના કરી શકશે તેવું ટ્રસ્ટી તેમજ મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું.