દયાપરઃ કચ્છમાં પાણીની સમસ્યા નિવારવા રૂ. ૮૦ કરોડના ખર્ચે ખીરસરા-દયાપર-પાનધ્રો પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ દ્વારા ઓનલાઇન થશે. લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ આયોજિત સમૂહલગ્નોત્સવની રજત જયંતી મહોત્સવ તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો ૧૭થી ૨૧ એપ્રિલ દરમિયાન દયાપર ખાતે યોજાશે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ૧૮ એપ્રિલે ઉપસ્થિત રહેશે.
રાજસ્થાનની ધૂળથી કચ્છનું વાતાવરણ પલટાયુંઃ હવામાં ભેજનું પ્રમાણ ઘટાડવા સાથે પવનની ગતિ વધારનાર વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના અસર હેઠળ ગત સપ્તાહે કચ્છના વાતાવરણમાં ધૂંધળા પલટા વચ્ચે ધૂળની ડમરીઓ ઊડી હતી અને સમગ્ર પ્રદેશમાં ધૂળનું સામ્રાજ્ય સ્થપાયું હતું. રાજ્યના દક્ષિણ સિવાયના તમામ ભાગોમાં રચાયેલા ‘રજાવરણ’ના કારણે કચ્છી જનજીવને મૂંઝવણમાં દિવસ પસાર કર્યો હતો. નજર જેમ દૂર જાય તેમ દૃશ્ય ધૂંધળું બનતું જઇને છેલ્લે દૂર સુધી કંઇ જ દેખાય નહીં તેવું વિચિત્ર વાતાવરણ સર્જાયું હતું. આવા વાતાવરણને ૪ એપ્રિલે સાંજે મુંબઈથી ભૂજ આવેલી જેટ એરવેઝની ફ્લાઇટ પણ લેન્ડીંગ કરી શકી નહોતી.