માંડવીઃ આશરે સાડા ત્રણ વર્ષ પહેલાં દુબઇથી એડન તરફ સમુદ્રની સફરે નીકળેલું જનરલ કાર્ગો ભરેલું વહાણ પ્રતિકૂળ મોસમનું ભોગ બન્યું હતું અને ઈરાનમાં જળસીમા ભંગ બદલ આ વહાણ ૧૨ ખલાસીઓ સાથે બંદી બનાવાયું હતું. જોકે ૧૨માંથી નવ ખલાસીઓની મુક્તિ બાદ ઉમર સાલેમામદ થેમ, ઇબ્રાહિમ રઝાક સપ અને સાજિદ ઉમર સુમરાને સાડા ત્રણ વર્ષથી ઇરાની કારાવાસમાં સબળવાનું કરમે લખાયું હતું. આ ત્રણમાંથી ઈબ્રાહિમ સપ અને સાજિદ સુમરાને છુટકારો મળતાં તેઓ ૨૮મી ફેબ્રુઆરીએ વતન પહોંચ્યા હતાં.
વતન પહોંચેલા સાજિદે કહ્યું કે, ઈરાની જેલમાં અમને રોજ બે રોટલા અપાય. એક સવારે અને એક રાત્રિભોજનમાં. બપોરે ભાતની એક પ્લેટથી ચલાવી લેવાનું. શાક હોય તો હોય! જોકે ઊંઘ લેવા પથારી ખરી. ખાણી-પીણીની સરખામણીમાં ઈરાની જેલમાં ઊંઘવા બેસવાની સગવડ પ્રમાણમાં ઠીક કહી શકાય. રોજ ટેલિફોનિક સંપર્ક અર્થે ૧૦-૧૫ મિનિટની છૂટ અપાતી હતી. જેથી અમે પરિજનો સાથે સંપર્કમાં રહી શકતાં હતાં.