નવીદિલ્હી: મુન્દ્રા પોર્ટ પર વધુ એક વાર રક્તચંદન એક્સપોર્ટ થાય તે પહેલા તેને ઝડપી લેવામાં આવ્યું હતું. ડીઆરઆઈ દ્વારા ઈનપુટના આધારે આઈસીડી દાદરીથી આવેલા એક કન્ટેનરને ટ્રેસ કરીને તેની તપાસ કરાઈ હતી, જેમાં જાહેર કરાયેલા ૪ કાર્ગોની જગ્યાએ રક્તચંદનનો ૧૧.૭ ટન જથ્થો મળી આવ્યો હતો. બજાર કિંમત અનુસાર તેની વેલ્યું 5.50 કરોડ થવા જાય છે. ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ, ગાંધીધામ દ્વારા ટુંકા ગાળામાં જ ત્રીજી વાર મુંદ્રા પોર્ટથી રક્તચંદન એક્સપોર્ટ કરવાના કારસાને નાકામ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નોઈડા સેઝની લોડ થયેલું અને દાદરી આઈસીડીથી રેલવેના માર્ગે આવેલું એક કન્ટેનરને ચોક્કસ ઈનપુટના આધારે રોકાવીને વેસલમાં ચડે તે પહેલા સૌરાષ્ટ્ર સીએફએસ લઈ જઈને ખોલવામાં આવ્યું હતું. કન્ટેનરમાં ટ્રેક્ટરનાં સ્પેર પાર્ટ્સ હોવાનું ડિક્લેરેશન કરાયું હતું, પરંતુ તપાસ કરતા અંદરથી માત્ર રક્તચંદન નો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ૧૧.૭ ટન રક્તચંદનનો જથ્થો હોવાનું આકલન કરાયું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અનુસાર કુલ ૫.૫૦ કરોડની કિંમતનું આકલન કરાઈ રહ્યું છે. આ રક્તચંદન ભરેલું કન્ટેનર મુંદ્રા પોર્ટથી જહાજ માં સવાર થઈને મલેશિયા જવાનું હતું, જ્યાથી તેનો આગળનો રસ્તો ચીન હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.