ભુજઃ કચ્છના વાગડમાં આવેલા ગાગોદરના ગોરાસર તળાવ પાસે ઘઉંમાં ઝેર ભેળવીને પશુ-પક્ષીઓને ચણ ફેંકી દેનારા વિરુદ્ધ ગામલોકોએ દેખાવો અને આક્ષેપ કરતાં કેટલાક શકમંદોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ છે. ૩૯ મોર-ઢેલ, બે ભેંસ અને ૫૦થી વધુ પારેવડાં મોતને ભેટતાં એકીસાથે ૧૮ ગામોના લોકોએ સામૂહિક આંદોલન શરૂ થયું હતું.
આ કેસમાં ઝડપાયેલા નર્મદા નહેર પર જ રહેતા ૧૨ પરપ્રાંતીય શ્રમજીવીઓને ઘુડખર અભયારણ્ય વિભાગ દ્વારા છઠ્ઠીએ રાપર કોર્ટમાં જામીન અરજીની સુનાવણી અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં એક તરફ અદાલતે જામીનનો ઈનકાર કરતાં તમામને જેલહવાલે કરાયા હતા. બીજી તરફ ઘુડખર અભયારણ્યના ડી.સી.એફ. શ્રી અસોડાએ તપાસ પૂરી થશે અને કોઈ ગુનેગાર હશે તો છૂટશે નહીં તેવો વિશ્વાસ રાખવા જણાવ્યું હતું.