કેરાઃ દહીંસરાના ૭૬ વર્ષીય વૃદ્ધા રતનબહેન પિંડોરિયાએ વતનથી વિદેશ જતાં પહેલાં પોતાની મરણમૂડી ભુજમાં આવેલી લેઉવા પટેલ હોસ્પિટપલને દાનમાં આપી દીધી છે. રતનબહેન અંતિમ મૂડી આપવા જ વતન આવ્યા હતા. રતનબહેન લંડનમાં આવેલા એજવેરમાં રહે છે.
ભુજમાં કચ્છી લેઉવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતા મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં દર્દીઓ માટે વેન્ટિલેટર માટે રૂ. ૧૦ લાખ અને ગરીબોના ડાયાલિસિસ માટે રૂ. ત્રણ લાખ એમ કુલ મળીને રૂ. ૧૩ લાખની જરૂર હતી. આ વાતની જાણ રતનબહેનને થઈ તો તેમણે હોસ્પિટલના અગ્રણી અરજણભાઇ પિંડોરિયાને ૧૯મી નવેમ્બરે આ રકમનો ચેક અર્પણ કર્યો હતો.
રતનબહેને કહ્યું હતું કે, જીવનના આઠમા દાયકામાં જીર્ણ શરીરનો શું ભરોસો? હવે કચ્છ અવાય કે ન અવાય? દીકરીઓને કહ્યું કે, મને છેલ્લીવાર દહીંસરા લઇ ચાલો...! દીકરી જમાઈ સાથે કચ્છ આવી. આર્થિક વ્યવહાર માટેના બધા બેંક ખાતા અને રોકડની લીલા સંકેલી બધી રકમ દાન કરીને
હું પાછી લંડન જાઉં છું. મને હૈયાનો ભાર હળવો થયો હોય એવું લાગે છે.