ભૂજઃ સુખપર ગામમાં ૩૦મી સપ્ટેમ્બરે વિજ્યાબહેન ભુડિયાની હત્યા થઈ હોવાના સમાચાર મળતાં પોલીસે તપાસ કરતાં દીકરી સુનીતા (નામ બદલેલ છે)એ જણાવ્યું હતું કે, ટ્યૂશનથી ઘરે આવીને જોયું તો માતા મૃત હાલતમાં ઊંધી પડી હતી, પરંતુ આકરી તપાસમાં જણાયું કે સુનીતા ઘરે જ હતી અને પ્રેમી સાથે મળીને તેણે માતાની હત્યા કરાવી હતી. મૃતક વિજ્યાબહેનની ધો. ૧૨માં ભણતી ૧૭ વર્ષની દીકરી સુનીતાને પડોશી સુનીલ ઉર્ફે સોનુ કિશોરભાઈ સાથે પ્રેમસંબંધ હતો. વિજ્યાબહેને દીકરીને સુનીલ સાથેના સંબંધને લીધે અવારનવાર ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી નારાજ દીકરીએ સોનું અને તેના મિત્ર સાથે મળીને વિજ્યાબહેનની હત્યાનો કારસો ઘડ્યો હતો.
બનાવના દિવસે સુનીલ અને તેનો મિત્ર આનંદ જગદીશભાઈ સુથાર (રહે. મંગલમ ચાર રસ્તા, ભૂજ) વિજ્યાબહેનના ઘરે ગયા હતા. ત્યાં સુનીતા પહેલેથી હાજર હતી.
વિજ્યાબહેનના ઓછું સાંભળતા અને માનસિક અસ્વસ્થ વયોવૃદ્ધ માતા ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. સુનીતાના પિતા ભૂજમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ગયા હતા. ઘરમાં ઘૂસેલા હત્યારાઓ પૈકી એકે વિજ્યાબહેનને પકડી રાખ્યા અને બીજાએ દાતરડા અને છરીથી તેમના પર હુમલો કર્યો હતો. વિજ્યાબહેનની હત્યા બાદ સુનીલ અને આનંદ ઘરની પાછળના ભાગેથી નાસી ગયા હતા અને સુનીતાએ લોહીના છાંટા - દાગ સાફ કરી નાંખ્યા હતા. એ પછી સુનીતાએ પિતાને ફોન કરીને જાણ કરી હતી.
પોલીસે તપાસ કરતાં ઘરની કચરા પેટીમાંથી ‘સોનુ... સોનુ...’ લખેલો પત્ર મળ્યો હતો. આ પત્રના આધારે પોલીસે સુનીતાને પૂછતાં તેણે સોનુ તેનો પ્રેમી હોવાનું કબૂલ કર્યું હતું અને પોલીસે કરેલી આકરી પૂછપરછ અને તપાસમાં સુનીતાએ હત્યાનો સમગ્ર બનાવ પોલીસને જણાવ્યો હતો.