ભુજઃ ભાજપના સરકારના પૂર્વ રાજ્ય પ્રધાન તારાચંદ છેડાએ સરકારને નારાજી ભરેલો ઠપકો ધરાવતો પત્ર તાજેતરમાં વડા પ્રધાનને લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે ગુજરાતમાં આનંદીબહેન પટેલ મુખ્ય પ્રધાનપદે હતા. તે વખતની સરકાર બાદ રાજકીય અવ્યવસ્થાના અભાવે કચ્છને નર્મદાના વધારાનાં એક મિલિયન એકર ફિટ પાણી અંગેનો મામલો આગળ વધ્યો નથી. મોડકૂવા સુધીના નર્મદાના કેનાલના કામ પણ આગળ વધતા નથી. વડા પ્રધાન અંગત રસ લે તેમજ કચ્છમાં સિંચાઈનાં પાણી વહેલી તકે મળે તેવી માગ પત્રમાં કરાઈ છે.
આ પત્રમાં કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા છેડાએ જણાવ્યું છે કે, તે સમયના રાપરના ધારાસભ્ય પંકજ મહેતાના આગ્રહ અને સતત રજૂઆતોના કારણે નર્મદા સિંચાઈનું
પાણી વાગડના રાપર સુધી પહોંચ્યું હતું.
અંજાર પાસેનો ટપ્પર ડેમ ભરાયો હતો. ત્યાર પછી આ કામ હજુ સુધી આગળ વધ્યું નથી. કચ્છના લોકોની સિંચાઈના પાણી માટેની રજૂઆતો ઉપર કંઈ ધ્યાન અપાતું નથી. જેથી નાછૂટકે આ વિનંતી પત્ર લખ્યો છે. ગુજરાત સરકારને યોગ્ય કરવા સૂચના આપવા પ્રધાનમંત્રીને આ પત્ર દ્વારા વિનંતી કરાઈ છે.