ઉરી હુમલાને પગલે પાકિસ્તાન સાથેની સરહદોએ તંગદિલી અને યુદ્ધની આશંકાના વાતાવરણ વચ્ચે પાંચમીએ જખૌ પાસેની આંતરરાષ્ટ્રીય જળસીમા (આઇએમબીએલ) પાસેથી પાકિસ્તાની મરિન દ્વારા ૩૫ ગુજરાતી માછીમારો સાથે ૧૦ ફિશિંગ બોટનું અપહરણ કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાકિસ્તાની મરિન્સે ગોળીબાર કરીને તેમને પકડી લીધા હતા. જોકે ફાયરિંગની ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી.
• રૂ. નવ કરોડના ખર્ચે નખત્રાણા માર્ગોનું નવીનીકરણઃ નખત્રાણા તાલુકાના નોન પ્લાન રસ્તાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રૂ. નવ કરોડના ગ્રામ્ય માર્ગો મુખ્ય પ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થતાં સંત મેંકણદાદાની જન્મભૂમિ નાની ખોંભડી તથા ધોરમનાથ દાદા ધીણોદરના યાત્રાળુઓ ઉપરાંત આ વિસ્તારના ખેડૂતો તથા પશુપાલકોને માર્ગ સુવિધા મળશે.
• સામાજિક ન્યાયની બેઠકમાં રૂ. પ.૫ કરોડની યોજનાઓને બહાલીઃ કચ્છ જિલ્લા પંચાયત હેઠળની સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં જુદી જુદી યોજનાઓ માટે ચોથી ઓક્ટોબરે રૂ. ૫.૫ કરોડના ખર્ચને બહાલી મળી હતી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ મહેશ્વરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી હતી. જેમાં સમિતિના સભ્યો વસંતભાઈ વાઘેલા, માનબાઈ દનિચા, વિકાસ રાણા, કો-ઓપ. સભ્ય જિતેન્દ્ર વાઘેલા વગેરે હાજર રહ્યા હતા.
• મગરવાડાના ભાતીગળ મેળામાં હજારો ઉમટ્યાઃ સમગ્ર ભારતભરમાં ખ્યાતિ પામેલ ચમત્કારિક ઐતિહાસિક શ્રી માણિભદ્રવીર તીર્થસ્થાન મગરવાડામાં ૫મી ઓક્ટોબરે ભવ્યાતિભવ્ય ભાતીગળ મહામેળો યોજાયો હતો. જેમાં મોડી રાત સુધી હજારો ભાવિકોએ મણિભદ્રવીર દાદાના દર્શનનો લાભ લીધો હતો. મેળાના પ્રારંભે વર્ષોની પરંપરા મુજબ મગરવાડા ગ્રામજનોએ યજ્ઞમાં ૫૦થી વધુ ઘીના ડબ્બાની આહૂતિ આપી હતી.