વડગામના એન્દ્રાણાનો પરિવાર ગાંધીધામમાં સ્થાયી થયો છે. પરિવારની દીકરીનું સર્પદંશથી નિધન થયું હતું. જેના જન્મ દિવસની ઉજવણી વખતે એક બિલાડી કેક ખાવા આવી હતી. ઘટનાએ પરિવારજનોના હૃદયમાં પશુપ્રેમ ભરી દીધો હતો. અને તે બિલાડીને ઘરના સભ્યની જેમ રાખી હતી. જેમાંથી અત્યારે ૧૨૮ બિલાડીઓ થઇ છે. અને હવે રૂ. ૪૦ લાખના ખર્ચે કેટ ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે. જે ટૂંક સમયમાં ૨૦૧૭માં ખુલ્લું મુકાશે.
• રૂ. છ લાખની સિગારેટના બે આરોપી ઝડપાયાઃ ભચાઉમાં આવેલા વથાણ ચોકની ભવાની ટ્રેડર્સનું તાળું તોડીને રૂ. ૬,૨૯,૦૦૦ કિંમતના સિગારેટના બોક્સની ચોરી થયાની ફરિયાદ ભવાની ટ્રેડર્સના માલિક નરોત્તમભાઇ ઠક્કરે આપી હતી. પોલીસે આ કેસમાં ૩૦મી ડિસેમ્બરે આ ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓ સદામ ગફુર અબરૂબરી રહેવાસી રાજસ્થાન હાલ માનસરોવર વિસ્તાર ભચાઉની તથા ભચાઉના પ્રવીણ રમેશ વાળાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
• કચ્છી દાડમના વેપારમાં નોટબંધી નડીઃ આ વર્ષે કચ્છી દાડમનો પાક મોટા પ્રમાણમાં તૈયાર છે તેવા જ વખતે સરકારે કરેલી રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટબંધીના કારણે વિદેશમાં નિકાસકર્તા વેપારીઓ અદૃશ્ય બની ગયા છે. કચ્છની જમીનની ગુણવત્તા, વાતાવરણ, પાણીની કુદરતી કમાલના કારણે જ એક સમયે ફળફળાદિ કે ખેત પેદાશોની ખેતી અને અકલ્પનીય પાકો અને ખેતી દોઢેક દાયકાથી કચ્છી ખેડૂતો સફળતાથી લે છે.