કચ્છમાં ૬૦ લાખ ટન મીઠાનો ઢગ ખડકાયો

Wednesday 25th September 2019 06:58 EDT
 

અમદાવાદઃ અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડવોરના આંચકા છેક ગુજરાતના કચ્છ સુધી પહોંચ્યા છે. ચીને આયાત ઘટાડતાં ઔદ્યોગિક વપરાશ માટેના મીઠાના લાખો ટન ઢગ ખડકાયા છે. દેશમાં ઔદ્યોગિક મીઠાના ઉત્પાદનમાં કચ્છ મુખ્ય છે. આ મીઠાના મુખ્ય આયાતકાર ચીનના રસાયણો બનાવનાર એકમો છે. અમેરિકા-ચીન ટ્રેડવોરના પરિણામે ચીની રસાયણોના ઉત્પાદનમાં ભારે કાપ મુકાયો છે. પરિણામે કચ્છથી થતી ઔદ્યોગિક મીઠાની નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે.
ઔદ્યોગિક મીઠાના ઉત્પાદકોના જણાવ્યા અનુસાર કચ્છના વિવિધ બંદરો ઉપરથી થતી ઔદ્યોગિક મીઠાની નિકાસમાં જુલાઇ અને ઓગસ્ટ માસમાં છ લાખ ટનનો ઘટાડો નોંધાયો છે. દેશમાંથી થતી મીઠાની કુલ નિકાસમાંથી ૯૫ ટકા નિકાસ કચ્છના દીનદયાળ બંદર ઉપરથી થાય છે.
મીઠા ઉત્પાદકોના કહેવા પ્રમાણે આ વર્ષની શરૂઆતથી જ ઔદ્યોગિક મીઠાની માગમાં ઘટાડો જણાવા લાગ્યો હતો. છેલ્લા બે મહિનામાં એમાં અચાનક ભારે ઘટાડો નોંધાતા કચ્છમાં ૬૦ લાખ ટન ઔદ્યોગિક મીઠાના ડુંગરો ખડકાયા છે. એમાંથી ૪૦ લાખ ટન મીઠું નિકાસ માટે જ ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે મીઠાની ચીનમાં થતી નિકાસમાં જુલાઇમાં પાંચ લાખ ટનનો ઘટાડો નોંધાયો હતો. ઓગસ્ટમાં વધુ એક લાખ ટન ઘટીને છ લાખ ટન ઘટાડો નોંધાયો છે. ચીનના અમેરિકાના ટ્રેડવોરના દાવપેચમાં અમેરિકન સરકારે ચીની માલ ઉપર નાખેલા ભારે કરના કારણે અમેરિકન કંપનીઓએ ચીનથી આયાત થતા રસાયણો પર ભારે કાપ મૂક્યો છે. એના કારણે ચીનના રસાયણ ઉત્પાદન એકમોએ પોતાના ઉત્પાદનમાં ભારે કાપ મૂક્યો છે.
મીઠા ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે માગમાં ખૂબ મોટો ઘટાડો થતાં કચ્છમાં ૬૦ લાખ ટન મીઠાના ઢગલાઓ ખડકાયા છે. એમાંથી ૨૦ લાખ ટન મીઠું રિફાઇનરીઓ માટે છે અને ૪૦ લાખ ટન મીઠું નિકાસ માટે ઉત્પાદન કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter