કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિઃ વીજળી પડતાં બેનાં મોત

Thursday 22nd October 2020 10:42 EDT
 
 

અમદાવાદઃ રાજ્યના અંદાજે ૧૦૦ જેટલા તાલુકાઓમાં ૧૯મી ઓક્ટોબર સુધીના છેલ્લા ચાર દિવસમાં ૧ મિમીથી ૪ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. કમોસમી વરસાદથી મગફળી, કપાસ, ડાંગર સહિતના ચોમાસુ પાકને મોટું નુકસાન જવાની ભીતિ વર્તાઈ છે. વરસાદથી ખુલ્લા યાર્ડમાં પડેલા માલ પલળી જાય, ઘાસચારામાં કોવણ આવી જાય, કેળના પાકને નુકસાન ઓછા-વત્તા પ્રમાણમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસનો પાક હાલમાં તૈયાર થયો છે ત્યારે તેમાં પણ વરસાદને લીધે ખેડૂતોને નુકસાની વેઠવી પડવાની છે. મોટાભાગે હાલમાં મગફળીનો પાક ખેતરમાં ઉખાડાઈને ખુલ્લો પડયો હોય છે જ્યારે કપાસમાંથી રૂ બહાર આવેલું હોય છે. જેથી આ બંને પાકમાં લણણીના સમયે જ સડવાનો ભય છે.

દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને નુક્સાનની સંભાવના છે. ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં અનરાધાર વરસાદ પડતાં ખેડૂતો નિયત સમયમાં વાવણી કરી શક્યા નહોતા. બીજી તરફ ચાર દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.

અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર

અરબી સમદ્રમાં સર્જાયેલા લો પ્રેશરે કારણે રાજ્યમાં વરસાદ થયો હતો. રવિવારે રાજકોટ, મોરબી, બાબરા, ગોંડલમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. મોરબી અને ભૂજમાં વીજળી પડતાં ૧-૧ વ્યકિતનાં મોત થયાં છે. બે લોકોને ઇજા થઇ છે. કચ્છમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ થયો હતો. ભારે વરસાદના પગલે મોટાભાગના પાકને નુકસાન થયું હતું.

૧૮મીના રોજ ૪૩ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં જામનગર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, આણંદ, બનાસકાંઠા, અમરેલીમાં અડધાથી સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ૧૯મીના રોજ ૧૨ કલાકમાં ૨૭ તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

૧૭મીએ ૮૬ તાલુકામાં વરસાદ પડયો હતો. કચ્છ, સુરત, ભરૂચ, મહેસાણા, તાપી, નર્મદા, ડાંગ, છોટા ઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, આણંદ, અરવલ્લી, પંચમહાલમાં અડધાથી ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

મહેસાણા જિલ્લામાં ૧૭મીએ પ્રથમ નોરતાની મધરાતની રવિવાર વહેલી સવાર સુધી ગાજવીજ સાથે વરસાદે રમઝટ જમાવી હતી. જેમાં વિજાપુરમાં બે કલાકમાં ૨ ઇંચ, મહેસાણામાં અડધો ઇંચ સહિત ૬ તાલુકામાં નોંધપાત્ર પડ્યો હતો.

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ૧૭મીએ રાત્રે થયેલા વરસાદ બાદ બીજા રવિવારે પણ જંબુસરના કાવી પંથકમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે નેત્રંગ પંથકમાં ૧૨ કલાકમાં ૨ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો વાલિયા અને ઝઘડિયા પંથકમાં પણ હળવા ઝાપટાં નોંધાયા હતા.

૧૬મીના રોજ ૫૯ તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, ખેડા, મહિસાગર, લુણાવાડા, દાહોદના વિવિધ તાલુકામાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter