કોંગ્રેસનો મેન્ડેટ ભલે શક્તિસિંહ માટે, પણ ભરતસિંહ ખેલ પાડી શકે છે!

Friday 12th June 2020 15:49 EDT
 
 

અમદાવાદઃ રાજ્યસભા ચૂંટણીમાં ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી એક પછી રાજીનામા પડી રહ્યાં છે. આ સંજોગોમાં કોંગ્રેસના બેમાંથી એક ઉમેદવારનો પરાજય નક્કી છે. કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે, પણ હાઇ કમાન્ડે પ્રથમ ઉમેદવારનો મેન્ડેટ શક્તિસિંહને આપ્યો છે.
આમ છતાં ઊંડા મૂળિયાં ધરાવતા અને રાજકીય દાવપેચમાં માહેર ભરતસિંહ છેલ્લી ઘડીએ ખેલ પાડીને મૃદુભાષી અને સંગઠનમાં કોઈ ખાસ કનેક્શન ન ધરાવતા શક્તિસિંહના બદલે પોતે વિજયી બની જાય તેવી શક્યતા છે. પોતાની હાર ભાળી ગયેલા ભરતસિંહે હવે ગમે તેમ જીતના સોગઠાં ગોઠવવાનું શરૂ કર્યું છે.
બે પેઢીથી ગુજરાત કોંગ્રેસમાં મજબૂત પક્કડ ધરાવતા ભરતસિંહ સંગઠનમાં પણ સંપર્કો મજબૂત ધરાવે છે. શક્તિસિંહ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા જેવા મહત્ત્વના હોદ્દા ધરાવતા હોય પણ જમીની સોગઠાંબાજીમાં ભરતસિંહ માહેર ગણાય છે. હમણાં જ આણંદના ફાર્મ હાઉસમાં કોંગી ધારાસભ્યોની ગુપ્ત મિટિંગ મળી હતી, જેમાં ભરતસિંહે પોતાનું ધ્યાન રાખવા એટલે કે મત આપવા તાકીદ કરી હતી તેવું એક અખબારી અહેવાલમાં જણાવાયું હતું.

૨૦ ધારાસભ્યોનો ટેકો?

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે, અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રાજીવ શુક્લાનું નામ ઉમેદવાર તરીકે આવ્યું હતું ત્યારે વીસેક ધારાસભ્યોએ નારાજગી દર્શાવતા હાઇકમાન્ડે નિર્ણય બદલીને ભરતસિંહને બીજા ઉમેદવાર બનાવ્યા. હવે હાઇકમાન્ડે શક્તિસિંહને જીતાડવા જણાવતા ધારાસભ્યો ફરી નારાજ છે, અને હાઇકમાન્ડની આજ્ઞા ઉથાપી પણ દે. ભરતસિંહને ૨૦ જેટલા સભ્યોનો ટેકો છે.

રાજ્યસભાનું ચૂંટણી ગણિત બદલાયું

કુલ ૧૮૨ સભ્યોનું ફૂલ કોરમ ધરાવતી ગુજરાત વિધાનસભામાંથી ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા બાદ હવે સભ્યોની સંખ્યા ઘટીને ૧૭૨ થઇ છે. જેમાં ભાજપના ૧૦૩, કોંગ્રેસના ૬૫, બીટીપીના ૨, એનસીપીના ૧ અને એક અપક્ષનો સમાવેશ થાય છે. રાજ્યસભા ચૂંટણીમાં મતદાન થાય ત્યારે એક મતનું મૂલ્ય ૧૦૦ ગણતાં કૂલ મતોનું મૂલ્ય ૧૭,૩૦૦નું થાય. જે ફોર્મ્યુલા મુજબ ૪ બેઠકો વત્તા એક એમ કુલ પાંચ વડે ભાગતા જીતનો ક્વોટા ૩૪૬૦ વત્તા એક એમ કુલ ૩૪૬૧ થાય. હાલ ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યો તો છે જ, તેમાં એનસીપીના કાંધલ જાડેજાએ પહેલાથી જ સમર્થન જાહેર કર્યું હોવાથી ૧૦૪ ગુણ્યા ૧૦૦ કરતાં કુલ ૧૦,૪૦૦ મુલ્ય છે જ. જે ત્રણ બેઠકો જીતવા માટે ભાજપને જરૂરી ૧૦,૩૮૩ મત કરતાં વધુ છે. સામા પક્ષે અપક્ષ જીજ્ઞેશ મેવાણી સાથે કોંગ્રેસ પાસે માત્ર ૬૭૦૦નું મૂલ્ય રહ્યુ છે. જેમાં છોટુ વસાવાની બીટીપીના બે ધારાસભ્યોનું સર્મથન મળે તો પણ ખાસ કોઈ ફરક પડે તેમ નથી. આ સંજોગોમાં ૧૯મી જૂને ભાજપનો કોઇ મત રદ થાય તેવો ચમત્કાર સર્જાય તો જ શક્તિસિંહ- ભરતસિંહની જોડી જીતી શકે તેમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter