ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણીનું મતદાન ૧૯મી જૂને ગાંધીનગરમાં થશે. આવા સંજોગોમાં કોંગ્રેસે તેના ધારાસભ્યોને રાજ્યના ચાર સ્થળો પરથી ગાંધીનગર ખાતે લવાશે તેવું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ૧૫મી જૂને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને ગાંધીનગરમાં એક દિવસ રખાશે.
સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુના નીલ સિટીમાં છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યો રાજસ્થાનના શિરોહીમાં અને મધ્ય ગુજરાતના ધારાસભ્યો આણંદના રિસોર્ટમાં રોકાયા છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો પારડીમાં કોંગ્રેસના નેતાના ફાર્મ હાઉસ પર રોકાયા છે. હવે આ તમામ ધારાસભ્યોને ૧૮મી જૂને ગાંધીનગર લવાશે. ત્યાં તેમને એક હોટેલ કે રિસોર્ટમાં રખાશે. આ પછી ૧૮મી જૂને બપોરે ૨ કલાક આસપાસ રાજ્યસભાના મતદાનની તાલીમ આપતું મોક પોલ યોજવામાં આવશે. આ પોલમાં કઇ રીતે મતદાન કરવું તે ધારાસભ્યોને શીખવવામાં આવશે. જેથી કોઇ ભૂલ થાય નહીં તેમ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના ધારાસભ્યો કોંગ્રેસ છોડનાર લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડાના મત વિસ્તારમાં દેખાવો કરીને ગાંધીનગર આવશે.