ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર કોબા સ્થિત જૈન તીર્થ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૨મી મેના રોજ બપોરે ૨ કલાક ૭ મિનિટે ચરમતીર્થપતિ ૨૪મા તીર્થંકર મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનના ભાલપ્રદેશ ઉપર સૂર્યકિરણના દૈદિપ્યમાન પ્રકાશપુંજનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે વૈશ્વિક કોરોના મહામારીને પગલે થયેલાં લોકડાઉનને કારણે દર્શનાર્થીઓ માટે જૈન તીર્થ ખાતે પ્રત્યક્ષ પ્રવેશ નહોતો, પરંતુ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી ઓનલાઈન દર્શન કરીને આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા હતા.
જૈનાચાર્ય અજયસાગર સૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે પરમ પૂજ્ય આચાર્ય કૈલાસસાગર સૂરીશ્વરજીના કાળધર્મ બાદ તેઓની સ્મૃતિ ચિરસ્મરણીય રહે તે માટે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ જૈન તીર્થ ખાતે શિલ્પશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનાં ત્રિવેણીસંગમ સમાન આ અદ્ભુત ઘટના નિર્માણ પામે છે. આ વર્ષે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા. સહિત સાધુ-સાધ્વીજી ભગવંતોની સ્થિરતા જૈન તીર્થ કોબા ખાતે જોવા મળી.
વર્ષો પૂર્વે એક વાર એવું બન્યું હતું કે જ્યારે કાળાડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા અને બધાને એવું લાગ્યું હતું કે આ વર્ષે દર્શન થશે કે નહીં, પરંતુ જેવો ૨.૦૭ મિનિટ સુધીનો સમય આવ્યો કે તરત વાદળો હટી ગયા અને પ્રભુ મહાવીરના ભાલે સૂર્યતિલક થયું હતું. આ ઘટના જ સૂચવે છે કે આજ દિન સુધી સૂર્યતિલકનો નજારો ન જોવા મળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ નથી.
રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે અમારા ગુરુ પરમ પૂ. કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન સ્વાધ્યાય - અધ્યયન અને પરમાત્માની ભક્તિમાં સતત કાર્યરત રહ્યા હતા. તેઓના જીવનમાંથી સરળતા, નમ્રતા અને પવિત્રતાના ગુણોને જીવનમાં આત્મસાત્ કરવા જેવા છે.