કોરોના અંગે સાવચેતી: ગુજરાતમાં શાળા-કોલેજો-થિયેટર બે સપ્તાહ બંધ

Tuesday 17th March 2020 06:06 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યમાં COVID-૧૯ કોરોના વાઇરસના ખોફને પગલે તમામ શાળા - કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ સોમવારથી બે અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય ૧૫મી માર્ચે જાહેર કર્યો છે. રાજ્યના તમામ ૧૮૨ મલ્ટિપ્લેક્સિસ તથા ૭૧ સિંગલ સ્ક્રીન મળીને કુલ ૨૫૩ થિયેટર્સ તેમજ સ્વિમિંગ પુલ્સ પણ બે સપ્તાહ માટે બંધ રાખવાનું જાહેર કરાયું છે. જોકે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા રવિવારે કોરોના વાઇરસ સંદર્ભે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ મુખ્ય સચિવ અનિલ મુકિમે તથા આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતી રવિએ ગાંધીનગરમાં મીડિયા સમક્ષ ઉપરોક્ત જાહેરાત કરી હતી. થિયેટર્સની માફક શોપિંગ મોલ્સમાં પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય છે. જોકે શોપિંગ મોલ્સ બંધ રાખવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
મલ્ટીપ્લેક્ષ, મોલ સહિતના ભીડવાળી જગ્યાએ તંત્ર અને પ્રજા તકેદારીના પગલાં લે છે. થિયેટર્સમાં કોરોનાની ચકાસણી માટે ઇન્ફ્રારેડ થર્મોમીટર લગાવાયાં છે. મોલમાં કામ કરતા કર્મચારીઓ તેમજ નાગરિકો માસ્ક પહેરેલાં નજરે પડે છે. લોકો માટે વોશરૂમ, કેફેટેરિયા અને રિસેપ્શન પર ફ્રીમાં સેનેટાઈઝરની સુવિધા અપાઈ રહી છે.
સરકારી - રાજકીય કાર્યક્રમો મોકૂફ
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રવિવારે જાહેર કર્યું હતું કે, રાજ્ય સરકારે ગુજરાતમાં યોજાનારા ભાજપના આગામી જાહેર કાર્યક્રમો તથા કેન્દ્રીય અને ગુજરાત બજેટની કાર્યશાળાઓનાં કાર્યક્રમો બે સપ્તાહ મોકૂફ રખાશે.
ધાર્મિક - સામાજિક મેળા ટાળવા અનુરોધ
રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંપ્રદાયો તથા અન્ય સંસ્થાઓને તેમના કાર્યક્રમો-મેળાવડા બે અઠવાડિયા સુધી મોકૂફ રાખવા માટે પણ અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેટલીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સરકારની વાતને સમર્થન આપતા આગામી પંદર દિવસમાં યોજાનારા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકવા ઉપર જે પ્રતિબંધ છે તેનું ચુસ્તપણે પાલન કરાવવા તથા પાલન નહીં કરનારને રૂ. ૫૦૦નો દંડ લગાવવા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને તાકીદ પણ કરાઈ છે.
શંકસ્પદ દર્દી ના પાડે તો પણ દાખલ કરાશે
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ૧૪મી માર્ચે એપિડેમિક એક્ટ ૧૮૯૭ હેઠળ નોટીફિકેશન જારી કરીને જિલ્લા સ્તરે વહીવટી તંત્રને વ્યપાક સત્તાઓ સોંપી છે. જેથી આ વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિ સારવાર લેવા માટે ઈનકાર કરે તો પણ તેને ફરજિયાતપણે હોસ્પિટલમાં દાખલ કરવા અધિકારીઓને સત્તા મળશે. નવા જાહેરનામાથી દરેક જિલ્લાઓમાં કલેક્ટર, વિકાસ અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ ઉપરાંત મહાનગરપાલિકાઓની કચેરીમાં મેડિકલ ઓફિસર સહિત તમામને કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીને ફરજિયાતપણે સારવાર હેઠળ મોકલવાનો અધિકાર મળ્યો છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જંયતી રવિએ કહ્યું કે, ગુજરાતમાં હજુ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી.
વિદેશથી આવેલા ઘર બહાર ન નીકળે
રાજ્યભરમાં એપિડેમિક ડિસિસ એક્ટ ૧૮૯૭ લાગુ થયો હોવાથી વિદેશથી આવેલી કોઈપણ વ્યક્તિ બીમાર હોય કે ન હોય ૧૪ દિવસ સુધી ઘર બહાર નીકળી શકશે નહીં. જો આવી કોઈ પણ વ્યક્તિ ઘર બહાર નીકળશે અને તેની પાલિકા સ્વાસ્થ્ય વિભાગને ફરિયાદ મળશે તો તેની સામે પાલિકા કાર્યવાહી કરશે. તે વ્યક્તિને કોરોનટાઇન (અલાયદા) રાખવા સોલા સિવિલ હોસ્પિટલમાં રખાશે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનટાઇન હેઠળ દર્દીને
રાખવા માટે ૧૦૦ બેડની વ્યવસ્થા કરાઈ છે.
ચીન, જાપાન, ઈટાલી, ફ્રાન્સ, સ્પેન, કોરિયા, ઇરાન સહિતના દેશમાંથી આવનારા અને ૬૦ વર્ષથી ઉપરની વયજૂથના વ્યક્તિને ડાયાબિટીસ કે હાઇપર ટેન્શનની બીમારી હશે તો તેમને પણ સોલા સિવિલ હોસ્પિટલમાં ૧૪ દિવસ સુધી રખાશે. આ ઉપરાંત વિદેશથી આવેલા દરેકે ઘરમાં પણ સ્વજનોથી અંતર રાખવું પડશે અને ઘરની બહારની વ્યક્તિઓ સાથે પણ સંપર્ક કરી શકશે નહીં. આ ગાઇડલાઇન્સનું પાલન નહીં કરનારને કલમ ૧૮૮ મુજબ ફોજદારી કાર્યવાહી પણ કરાશે. આ બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી પણ મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીને અપાઇ છે.
ભરૂચ જિલ્લાના અને વિદેશ ફરવા ગયેલાં લોકોમાંથી કુલ ૮૦ લોકોને કોરોન્ટાઇન હોમ ઓબ્ઝર્વેશનમાં રખાયાં હતાં. જે પૈકી ૪૦ લોકોનો ૧૪ દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પૂરો થયો છે. જ્યારે ૪૦ લોકો હજી પણ ઓબ્ઝર્વેશનમાં છે.
યુ.કે.થી આવેલી યુવતી દાખલ
કોરોનાના લક્ષણ ધરાવતી સુરતના પાર્લે પોઈન્ટની યુવતીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ સાથે સુરતમાં શંકાસ્પદ કોરોના વાયરસના કુલ સંખ્યા ૯ પર પહોંચી છે. પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી થોડા દિવસ પહેલાં લંડનથી સુરત આવી હતી. જોકે તેને તાવ અને કફ જેવી તકલીફ જણાતા સારવાર માટે નવી સિવિલ ખસેડાઈ હતી. જ્યાં તેને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી હતી અને તેના સેમ્પલ લઈ અમદાવાદ મોકલાયા હતા.
વડા પ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ
કોરોનાના ફેલાવાની દહેશતને કારણે કેન્દ્ર સરકારે જાહેર સમારોહ ન યોજવા માટેની માર્ગદર્શિકા બહાર પાડવા સાથે જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, ૨૧મી અને ૨૨ માર્ચનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ સ્થગિત કરાયો છે. મોદી કેવડિયા કોલોનીના સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલમાં નવા સ્થપાયેલા પ્રવાસન આકર્ષણો ખુલ્લાં મૂકવાના હતા. વડોદરામાં બીએસ-૬ આધારિત પ્લાન્ટ ઇન્ડિયન ઓઇલના પ્રકલ્પને વડા પ્રધાનના હસ્તે રાષ્ટ્રાર્પિત કરવા આયોજન હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter