અમદાવાદઃ કોરોના વાયરસે દુનિયાભરમાં કહેર વર્સાવ્યો છે ત્યારે તેની સીધી અસર ટુરિઝમ પર પડી છે. ગુજરાતમાંથી ઉનાળુ વેકેશનમાં યુરોપ સહિતના દેશ અને વિદેશમાં પ્રવાસે જવા ઇચ્છુકો હવે ટુર પેકેજ રદ કરાવી રહ્યાં છે. જેનો આર્થિક ફટકો ટુર ઓપરેટરોને પડી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. ઇરાન, ઇટલી, ચીન સહિત યુરોપના દેશોમાં પ્રવાસ ટાળવા અપીલ કરાઇ છે. સાઉદી સરકારે પણ હજ-ઉમરાહ રદ કરી દીધા છે જેથી ગુજરાતમાં કેટલાંય મુસ્લિમ પરિવારોએ હજ પેકેજ રદ કરાવવાં પડયાં છે. જે લોકો ઉમરાહ કરવા જવા ઇચ્છુક છે તેઓ પણ હાલમાં ઇન્કવાયરી કરી રહ્યાં છે. ટુર ઓપરેટરોના મતે, હાલમાં બેંગકોક-અમદાવાદ વચ્ચેની ફલાઇટ પર બંધ કરાઇ છે. બેગકોંક, થાઇલેન્ડ, સિંગાપોરમાં તો એવી સ્થિતિ છે કે, હોટલ-રેસ્ટોરાં પણ બંધ છે. સિંગાપોરમાં ડ્રીમ ક્રૂઝ પર એક મહિના માટે પ્રતિબંધ છે પરિણામે ગુજરાતના બે હજારથી વધુ ટુરિસ્ટોએ ક્રૂઝ ટિકિટ સહિતનુ ટુર પેકેજ રદ કરાવ્યું પડયું છે. સ્વીત્ઝર્લેન્ડ સહિત યુરોપના દેશોમાં ફરવા જવાની આ પીક સિઝન ગણાય છે, પણ કોરોનાના ભયે અહીંનો પ્રવાસ પણ પ્રવાસીઓ રદ કરી રહ્યાં છે.