કોરોના કેડો મૂકતો નથીઃ રોજિંદા ૭૦૦થી વધુ કેસ

Tuesday 07th July 2020 16:07 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં અનલોક - ૨ જાહેર થયાના ગાળામાં કોરોના પર પણ લોક અને રોક લગાવવામાં સફળતા મળી રહી નથી. રાજ્યમાં મંગળવારે કોરોના કેસની સંખ્યા ૭૭૮ અને આગલા દિવસે ૭૩૫ નોંધાઈ હતી. ૭મી જુલાઈના અહેવાલો પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૭ લોકોનાં મોત થયાં અને ૪૨૧ લોકો સાજાં થયાં હતાં. રાજ્યમાં ૭મીએ કોરોના કેસનો કુલ આંક ૩૭૬૩૬ પર પહોંચ્યો હતો. મોતનો કુલાંક ૧૯૭૯ જ્યારે ડિસ્ચાર્જનો કુલ આંક ૨૬૭૪૪ નોંધાયો હતો.
ગુજરાત દેશમાં ૮માં સ્થાને
કોરોનાના વધતા કેસ સાથે ગુજરાત દેશમાં સૌથી વધુ એક્ટિવ દર્દીઓ ધરાવતા રાજ્યોમાં આઠમા સ્થાને આવી ગયાના અહેવાલ સોમવારે હતા. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતનો ક્રમ આવે છે. તેની સામે રિકવરીનો રેટ ગુજરાતમાં ૭૧.૪૨ ટકા છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર ૫.૩૨ ટકા છે. દરમિયાન પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા કોરોનાની સારવાર બાદ રજા અપાઈ છે તો મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનમાં કોરોનાએ પગપેસારો કરતાં સંતોને ક્વોરેન્ટાઈન કરાયા છે અને મંદિર વિસ્તારને જ ક્વોરેન્ટાઈન જાહેર કરાયો છે. કોરોનાને કારણે આ વખતે નવરાત્રિમાં ક્લબો, પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી મળવાની શક્યતા પણ દેખાતી નથી.
નવરાત્રીનાં કાર્યક્રમોને શક્યતઃ કોરોનાનું વિઘ્ન
કોરોના મહામારીને કારણે આ વર્ષે શહેરની ક્લબ, પાર્ટીપ્લોટ અને ફાર્મહાઉસમાં નવરાત્રિના ગરબાનું આયોજન શક્યતઃ નહીં થઈ શકે. ઓક્ટોબરમાં આવનારી નવરાત્રિના આયોજન માટે શહેરના કેટલાક મોટાગજાના આયોજકોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળી રજૂઆત કરી હતી. જોકે મુખ્ય પ્રધાને રજૂઆત સાંભળ્યા બાદ જુલાઈના અંત સુધીમાં યોગ્ય નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. જોકે જે રીતે સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતાં રમજાન ઇદ, રથયાત્રા, બાદ નવરાત્રિમાં પણ સરકાર ક્લબ, પાર્ટી પ્લોટમાં રાસ-ગરબા યોજવા માટે મંજૂરી નહીં આપે તેવું ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે.
અમદાવાદ સિવિલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્કની શરૂઆત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા સંચાલિત આ વ્યવસ્થામાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના એન્ટી બોડી ધરાવતું પ્લાઝમા લઇ કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે. સાજા થયેલા દર્દીઓના શરીરમાં કોરોના વાઇરસ સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. પ્લાઝમા દ્વારા આ એન્ટીબોડીને સાજા થયેલા દર્દીના શરીરમાંથી કાઢી કોરોનાના દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. લોહીમાં રક્તકણો અને તેના પ્રવાહીને પ્લાઝમા કહેવામાં આવે છે. સાજા થયેલા દર્દીઓના પ્લાઝમામાં કોરોનાનો પ્રતિકાર કરી શકે તેવા એન્ટીબોડી હોવાનો નિષ્ણાતોનો મત છે. આ પ્રકારના પ્લાઝમાને કન્વેર્લિસેન્ટ પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા ઉભી કરવામાં આવેલી પ્લાઝમા બેન્કમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીની રિકવરી બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાના ૧૪ દિવસ કે ૨૮ દિવસ બાદ તેના પ્લાઝમા લેવામાં આવે છે. તેમાં પ્લાઝમા ડોનર ૧૮થી ૬૫ વર્ષની હોય તેમજ તેનું હિમોગ્લોબિન ઓછામાં ઓછું ૧૨.૫ ટકા હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે. પ્લાઝમા બેન્કમાં વ્યક્તિના રક્તમાંથી પ્લાઝમા ૫૦૦ મિલી પ્લાઝમા છૂટું પાડવામાં આવે છે. જેમાંથી ૨૦૦ મિલીના બે ડોઝ કોરોના દર્દીને ચડાવવામાં આવે છે અને ૧૦૦ મિલી સંશોધન માટે રાખવામાં આવે છે.
કોરોના વેક્સિનની હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ્સને મંજૂરી
ઇનોવેશન આધારિત ગ્લોબલ ફાર્માસ્યુટીકલ કંપની ઝાયડસે કોવિડ-૧૯ માટે પોતાના અમદાવાદ સ્થિત વેક્સિન ટેકનોલોજી સેન્ટરમાં સંપૂર્ણ ભારતીય પ્લાઝમીડ ડીએનએ વેક્સિન કેન્ડિડેટ (ZyCoV-D) વિકસાવી છે. આ ડીએનએ વેક્સિન કેન્ડિડેટને દેશમાં ફેઝ-૧ અને ૨ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ્સ માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી મળી છે. કંપનીનું જુલાઈમાં ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરવાનું આયોજન છે. અભ્યાસમાં વિવિધ પ્રજાતિઓ જેવી કે ઉંદર, ગિનિપીગ્સ અને સસલાઓમાં વેક્સિનને ખૂબ જ સારો ઇમ્યુન પ્રતિભાવ મળ્યો હોવાનું તારણ છે. વેક્સિનમાં રહેલા એન્ટી બોડીઝથી વાઇરસનો સંપૂર્ણ સફાયો થવાનું તેમજ આ વેક્સિનથી કેન્ડીડેટની રક્ષણની પ્રબળ શક્યતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે.
વેક્સિન તૈયાર થતાં આશરે ત્રણથી ચાર માસ
હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી મળી જતાં ત્રણ માસ દરમિયાન ફેઝ-૧ અને ૨ માં ટ્રાયલ કર્યા બાદ સત્તાવાળીઓની મંજૂરી તથા અન્ય વિધિ પૂર્ણ થતા ત્રણથી ચાર માસનો વેક્સિન તૈયાર થતા સમય લાગી શકે છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરીના આધારે આગળની પ્રોસેસ પૂર્ણ કરવામાં આવશે.
૧૫ ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરવા ICMRનું લક્ષ્ય
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોનાની સ્વદેશી રસી ૧૫ ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. ભારત બાયોટેકના સહયોગથી ડેવલપ કરાઇ રહેલી આ રસીની ક્લિનિકલ ટ્રાયલમાં ઝડપ લાવવા કાઉન્સિલે પસંદ થયેલી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હોસ્પિટલોને પત્ર લખ્યો છે. દેશમાં પહેલી વાર કોરોનાની કોઇ રસી આટલા એડવાન્સ સ્ટેજ પર પહોંચી છે.

ગાદી સંસ્થાનમાં ૧૫૦ને ઉતારો અપાયા પછી સંતોને ચેપની શક્યતા

સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને આશરે છેલ્લા ૧૦ દિવસથી સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાના આવેલ સાતમી જુલાઈએ હતા. તેમની તબિયતમાં ફેફસાંની તકલીફ વધવાને કારણે તેમને વેન્ટિલેટરના સપોર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. આમ તેમની તબિયત ગંભીર હોવાનું પણ જણાવાયું હતું, પરંતુ મેડિકલ સારવાર દ્વારા તેમની તબિયત સુધારા પર આવે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આચાર્ય સ્વામીજી મહારાજનું સ્વાસ્થ્ય સુધરે તે માટે સ્વામીનારાયણ ગાદી હસ્તકનાં તમામ મંદિરોમાં ધૂન, પ્રાર્થના કરાઈ રહી હોવાનું સ્વામીનારાયણ સંતો અને હરિભક્તોએ જણાવ્યું હતું. બીજી તરફ મણિનગર ગાદી સંસ્થાનના સંતો કોરોનાની ઝપટમાં આવ્યા હોવાના અહેવાલ સાથે સાથે મંદિર વિસ્તારને ક્વોરેન્ટાઈન હેઠળ હોવાનું જાહેર કરાયું હતું.
૧૮ સંતોને કોરોના સંક્રમિત
ભગવતપ્રિયદાસજીના જણાવ્યા અનુસાર આશરે ૧૮ સંતોને ચેપ લાગ્યો છે. બાકી ૩૪ સંતો આસપાસના વિસ્તારમાં ક્વોરેન્ટાઈન થયા છે. નિર્ણયનગરની કેર હોસ્પિટલ ૫ સંતો પૂર્વના વિવિધ વિસ્તારમાં ૩ હોસ્પિટલમાં ૨-૨ સંતોને દાખલ કરાયા હતા. સોમવારે નિર્ણયનગરની હોસ્પિટલમાંથી સંતોને રજા અપાઈ હતી. સૌપ્રથમ મંદિર વડા પુરષોત્તમ પ્રિયદાસજીમાં ત્યારબાદ બીજા ૩ સંતોમાં લક્ષણ જોવા મળતા તમામ સંતોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. હાલ મંદિરમાં માત્ર ૬ સંતો જ હાજર છે.
૬૦ સંતોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો
થોડા દિવસો પહેલા મંદિરમાં ૧૫૦ લોકોને ઉતારા આપ્યા હતા. જેમાં કેટલા નર્સ અને ડોક્ટર પણ સામેલ હતા. મંદિર અને સંતોનું માનવું છે કે કોરોનાનો ચેપ અહીંથી આવ્યો હશે. આ તમામ લોકોને ઉતારા આપ્યા બાદ ૬ દિવસે સંતોમાં લક્ષણ દેખાયા હતા. ત્યાર બાદ ૬૦ સંતોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

અમદાવાદના સાંકળતી દરરોજની અડધોઅડધ ફ્લાઇટ કેન્સલ

કોરોનાના સંકટ વચ્ચે ૨૫મેથી અમદાવાદ સહિત દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે. જોકે, અમદાવાદમાંથી દરરોજ અવર-જવર કરતી ૭૫માંથી અડધોઅડધ ફ્લાઇટ કેન્સલ થઇ રહી છે. ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થયાને દોઢ મહિનો થવા આવ્યો હોવા છતાં અમદાવાદની મોટાભાગની ફ્લાઇટ રદ જ થઇ રહી છે. કોરોનાએ કેર વર્તાવવાનું શરૂ કર્યું તે અગાઉ અમદાવાદથી દરરોજની ૨૨૦ જેટલી ફ્લાઇટ્સમાં સરેરાશ ૩૦ હજાર મુસાફરો અવર-જવર કરી રહ્યા હતા, પરંતુ કોરોના બાદ ફ્લાઇટ અને તેના મુસાફરોમાં ભારે ઘટાડો નોંધાઇ રહ્યો છે. હાલમાં અમદાવાદ એરપોર્ટથી દરરોજની ૭૫ ફ્લાઇટ્સ છે. આ પૈકી અડધોઅડધ ફ્લાઇટ મુસાફરો નહીં મળવાને કારણે રદ કરવામાં આવી રહી છે.

શંકરસિંહ વાઘેલાએ કોરોનાને માત આપી

રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ કોરોનાને હરાવીને સોમવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાંથી સાજા થઈને રજા મેળવી હતી. અઠવાડિયાની સારવાર બાદ કોરોના મુક્ત થયેલા શંકરસિંહ વાઘેલાને હોસ્પિટલમાંથી વિદાય અપાઈ હતી. તેમણે કહ્યું હતું કે હું અતિ આત્મવિશ્વાસમાં હતો કે, કોરોના રૂટિન છે, પરંતુ સિવિલ હોસ્પિટલની હાલત ખરાબ હતી. તે સમયે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અન્ય જગ્યાએ પણ ફર્યો હતો એટલે ક્યાંકથી ચેપ લાગ્યો હતો. શરૂઆતમાં તેઓ હોમ આઇસોલેશનમાં રહીને સારવાર કરાવી હતી. જોકે દિવસે તબિયત થોડી નાદુરસ્ત બનતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા, અઠવાડિયાની સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા હતા.

ભરતસિંહ સોલંકી ઓક્સિજન પર

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલકીને કોરોનાનો ચેપ લાગતા તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. તેઓ આઈસીયુમાં છે. મંગળવારના દિવસમાં ઓક્સિજનની જરૂરિયાતમાં વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter