ગાંધીનગરઃ કોરોના વાયરસે વિશ્વભરમાં ભય ફેલાવ્યો છે. ભારતમાં આ વાયરસના કેસની સંખ્યા આશરે ૫૦ પહોંચી છે. જેમાંથી ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને નવસારીમાં કોરોનાના પાંચ શંકાસ્પદ કેસ નવમીએ નોંધાયા છે. અમદાવાદમાં સાવચેતી સ્વરૂપે કોરોનાનો શંકાસ્પદ દર્દી જો એક વાર હેલ્પલાઇન પર ફોન કરે તો સ્પેશ્યલ એમ્બ્યુલન્સ તેને લેવા આવે તેવી વ્યવસ્થા કરાઈ છે. મહાપાલિકાએ ૩ લાખ જેટલા ત્રિપલ લેયર માસ્ક તૈયાર રાખ્યા છે. અમદાવાદ અને સુરતમાં ચોથી માર્ચે જ ૪ દર્દીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો મળ્યા હતા. આ રોગનો ફેલાવો અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ પ્રજાને જરૂરી સૂચનો થઈ રહ્યાં છે સાથે સાવચેતીનાં પગલાં પણ લેવાઈ રહ્યાં છે. સાવચેતી રૂપે ગુજરાતમાં ‘નમસ્તે અભિયાન’ હાથ ધરવાની વિચારણા છે તો અમદાવાદમાં વાઇરસથી બચવા હવે જાહેરમાં થૂકવા પર ૧૦૦૦૦નો દંડ પણ લાગુ કરાયો છે. રાજ્યમાં હોટેલમાં આવતા પ્રવાસીઓ માટે થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરાયું છે અને અમદાવાદ-બેંકોકને સાંકળતી ફ્લાઇટ ૨૯ માર્ચ સુધી કેન્સલ કરાઈ છે. બીજી તરફ વિશ્વભરના ટુરિઝમ ઉદ્યોગને કોરોનાની વરવી ઈફેક્ટ થઈ છે. ગુજરાતના ટુરિઝમ ઉદ્યોગને માત્ર ૬૦ દિવસમાં રૂ. ૫૦૦ કરોડનો ફટકો પડી શકે છે.
પાંચ શંકાસ્પદ કેસની મેડિકલ ટ્રીટમેન્ટ
રાજ્યમાં નવમી માર્ચે એક જ દિવસમાં અમદાવાદમાં ૩, વડોદરામાં ૧ અને નવસારીમાં ૧ એમ કોરોના વાયરસના કુલ પાંચ શંકાસ્પદ કેસ નોંધાતા રાજ્ય આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. જોકે, અત્યાર સુધી એકેય પોઝિટિવ કેસ નથી જેથી રાજ્ય સરકારે રાહત અનુભવી છે. યુએસથી આવેલા અને અમદાવાદમાં ઘોડાસરમાં રહેતા ૪૦ વર્ષીય આધેડ, લંડનથી આવેલા ૨૮ વર્ષીય યુવાન અને ઘાટલોડિયામાં રહેતા અને તાજેતરમાં માલદિવ પ્રવાસેથી આવેલા ૨૪ વર્ષીય યુવાનને શરદી, ખાંસી તાવની ફરિયાદ રહેતાં ત્રણેયને અમદાવાદ સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને તેમની મેડિકલ તપાસ કરાઈ હતી. આ ત્રણેય દર્દીઓનાં લોહીના સેમ્પલ લેવાયાં છે. અગાઉ અમદાવાદમાં મ્યુનિ. કોર્પો. સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ચોથી માર્ચે આ રોગના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જાપાનથી અમદાવાદ આવેલા અને સેટેલાઈટમાં રહેતા દંપતીમાં હાઈપર ટેન્શન સહિત કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેમને સારવાર માટે સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. થાઈલેન્ડ-સિંગાપોરના પ્રવાસેથી પરત ફરેલા અને સુરતમાં અઠવા લાઈન્સમાં રહેતા દંપતીને પણ કોરોનાના લક્ષણો જણાતા ચોથી માર્ચથી તેમની મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ કરાઈ હતી. નવસારીમાં પણ ચોથી માર્ચે કોરોનાનો એક શંકાસ્પદ કેસ નોંધાતા તે દર્દીની ટ્રીટમેન્ટ પણ શરૂ કરાઈ હતી.
રાજ્ય દ્વારા સૂચનો અને સાવચેતીના પગલાં
દિલ્હીથી કેબેનિટ સેક્રેટરીએ રાજ્યના ચિફ સેક્રેટરી અનિલ મુકિમ સાથે વીડિયો કોન્ફરન્સથી રાજ્યમાં કોરોનાને લઇને સરકારી હોસ્પિટલોમાં વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી તો રાજ્યમાં સમીક્ષા માટે કેન્દ્ર સરકારના અધિકારીઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યાં છે ઉપરાંત લોકોને પણ કેટલીક સાવચેતી માટે સૂચનો કરાયાં છે. લોકોને જાણકારી અપાઈ રહી છે કે તેઓ કોઇ સાથે હાથ ન મિલાવે અને નમસ્તે કહે. રાજ્ય સરકાર આ માટે ‘નમસ્તે અભિયાન શરૂ કરવા પણ વિચારી રહી છે. અમદાવાદના મ્યુનિ. કમિશનર વિજય નહેરાની આગેવાનીમાં આરોગ્ય તંત્રએ કોરોના સામે લડવા એકશન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં મેડિકલ સજ્જતા સાથે અમદાવાદ પાલિકાએ સાવચેતી જાળવવા જાહેરમાં થૂકવા પરના દંડમાં રૂ. ૧૦૦થી વધારો કરીને રૂ. ૧૦ હજાર કરી દીધો છે. આ ઉપરાંત પ્રજાને સૂચન કરાઈ રહ્યું છે કે, ૧ ચમચી સૂંઠ અને નાગરમોથની ૧ ચમચીને ૧૦ ગ્લાસ પાણીમાં ઉકાળીને તે મિશ્રણ ૫ ગ્લાસ જેટલા રહે ત્યારે નવસેકું પીવું. નિયમિત કસરત કરવી. વિરુદ્વ આહારનું સેવન ન કરવું અને ફ્રિજમાં રાખેલી વસ્તુ ન ખાવી. આ ઉપરાંત કોરોનાથી બચવા કેટલાક હાસ્યાસ્પદ સૂચનો પણ ફેલાઈ રહ્યાનું જાણવા મળે છે જેમ કે એકવાર ભોજન કરો અને બપોરે ઊંઘવાનું ટાળો.
ટુરિઝમને ફટકો પડવાની ભીતિ
કોરોનાના સંભવિત ઇન્ફેક્શન સામે અગમચેતીના પગલા રૂપે રાજ્યની તમામ હોટેલમાં પ્રવાસીઓ તેમજ હોટેલ કર્મચારીઓના થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા ફરજિયાત કરાઇ છે તો અમદાવાદ-બેંકોકની ફ્લાઇટ ૨૯ માર્ચ સુધી કેન્સલ કરાઈ છે. કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન જાહેર થતાં ઇરાન, ઇટલી, સિંગાપોર, મકાઉ, નેપાળ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા સહિતના દેશોથી આવનારાં મુસાફરો માટે ફરજિયાત સ્ક્રીનિંગ કરાયું છે. ઇરાનથી આવેલા કુલ ૮પથી વધુ મુસાફરોનું સ્ક્રિનિંગ કરાયા પછી આવેલા ૬૪ મુસાફરોની મેડિકલ તપાસ હાથ ધરાઇ હતી. ગુજરાતમાં કુલ ૩૯૬ લોકો આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ છે. કુલ ૧૦૫૦ લોકોએ ૧૪ દિવસનો ઓબર્ઝેવેશન સમય પૂર્ણ કરી લીધો છે ત્યારે રાજ્યના ટુરિઝમને કોરોનાના કારણે ૬૦ દિવસમાં આશરે રૂ. ૫૦૦ કરોડનો ફટકો પડી શકે તેવી શક્યતા છે. કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે ઉનાળુ વેકેશનમાં લોકો દેશ કે વિદેશ પ્રવાસમાં ૭૦ ટકા સુધી ઘટાડો થઈ શકે તેવું જણાઈ રહ્યું છે.