અમદાવાદઃ કોરોનામાંથી સાજા થયેલા અને મોટા ભાગના ડાયાબીટિસના દર્દીઓમાં મ્યુકર માઈકોસિસની બીમારી દેખાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે જણાવ્યા અનુસાર, મ્યુકર માઈકોસિસની સારવાર માટેના ૪૪ કેસ સિવિલમાં નોંધાયા હતા. જેમાંથી ૯નાં મોત થયાં હતાં. કોરોના પછી થતી આ બીમારી સામે કેન્દ્ર સરકારે પણ એલર્ટ જાહેર કર્યું હતું, પરંતુ લોકો સુધી આ એલર્ટની બાબત ગુજરાત સરકારે છુપાવી રાખી હોવાનું સામે આવતાં વિવાદ ઊભો થયો છે.
બે મહિનામાં ૪૪ કેસ
સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના હેડ ડો. ઈલાબહેન ઉપાધ્યાયે ૧૬મી ડિસેમ્બરે કહ્યું હતું કે, બે મહિનામાં ૪૪ દર્દી આવા આવ્યા હતા, જેમાં મોટાભાગના દર્દીઓ ડાયાબીટિસથી પીડાતા મોટી ઉંમરના હતા. નાની વયના એક બે કેસ છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ થાય છે. જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીમાં નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે. આ બીમારીથી અંધાપો આવી શકે છે. આ બીમારી કેન્સર કરતાં પણ ઝડપથી શરીરમાં પ્રસરે છે. તેથી કોરો નામાંથી સાજા થયેલા અને ડાયાબીટિસ કે અન્ય કોઈ બીમારીથી પીડાતાં દર્દીઓએ એન્ટી બોડી જનરેટ થઈ ગઈ છે અને હવે કંઈ નહિ થાય તેવું માનવાની જરૂર નથી.
સિવિલના તબીબે આ ઉપરાંત કહ્યું કે, મ્યુકર માઈકોસિસના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગવું છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે.
૧૯ દર્દીઓએ રોશની ગુમાવી
કોરોનાથી સાજા થયેલા દર્દીમાં શરદી થયા બાદ સમસ્યા થાય છે. અત્યાર સુધીમાં સિવિલમાં આવેલા દર્દીઓમાંથી ૪૩ ટકા એટલે કે ૧૯ દર્દીઓને આંખમાં દેખાવાનું બંધ થયાનું સામે આવ્યું છે. આ રોગનો ફેલાવો એક દર્દીના મગજમાં થયો છે. વિદેશમાં આ બીમારીથી મૃત્યુ દર ૫૦ ટકા જેટલો રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ૨૦ ટકા આસપાસ છે. કોરોનાએ દેખા દીધી એ પહેલાં વર્ષે આ બીમારીનાં એકથી બે કેસ આવતાં પણ છેલ્લા બે માસમાં ૪૪ કેસ આવ્યા છે. આ દર્દીઓ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી સારવાર માટે અમદાવાદ સિવિલમાં આવી રહ્યા છે.
ડાયાબીટિસ, બ્લડ કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ
મ્યુકર માઈકોસિસ ચેપી નથી, પરંતુ હાઈ ડાયાબીટિસ, બ્લડ કેન્સર કે અગાઉ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓમાં કે પછી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમાં દેખાય છે. તબીબે જણાવ્યું કે, ઈન્ફોટેરેસીના બી ઈન્જેક્શનથી ઈલાજ કરીએ છીએ. આ ઈન્જેક્શન ત્રણ પ્રકારના છે. જેમાં લિપિડ, લાઈપોલાઈઝ અને કોલાઈડ બેઝ ઈન્જેક્શન હોય છે.
ગુજરાતમાં ૪૫ લાખને ડાયાબીટિસ
ICMRના એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૪૫ લાખ જેટલા લોકો ડાયાબીટિસની બીમારીથી પીડાય છે. શહેરી વિસ્તારોમાં વસ્તીના ૧૦.૩ ટકા, ગ્રામ્ય વિસ્તારોમાં ૫.૧ ટકા એટલે કે રાજ્યમાં કુલ ૭.૧ ટકા લોકો ડાયાબીટિસથી પીડાય છે. મ્યુકર માઈકોસિસના જે કેસો સામે આવ્યા છે તેમાં મોટા ભાગના દર્દીઓ ડાયાબીટિસવાળા હોવાનું સામે આવ્યું છે.
રાજસ્થાન મુખ્ય પ્રધાનની ટ્વિટથી ભાંડો ફૂટ્યો
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ૧૫મી ડિસેમ્બરે ટ્વિટ કરી હતી જેમાં માહિતી આપી હતી કે, નિષ્ણાતો પ્રમાણે કોરોના સારવાર પછી લોકોમાં મ્યુકર માઈકોસિસનો ભય વધ્યો છે અને કેટલાંક મોત થયાં છે. આ બીમારીથી મગજ સહિત શરીરના કેટલાક અંગને ભય રહે છે. મુંબઇ અને અમદાવાદમાં આ બીમારીને લઇ એલર્ટ જાહેર કરાયું છે.
કોરોના કેસમાં ઘટાડો થતાં રાહતઃ રિકવરી રેટ ૯૪.૧૨ ટકા
ગુજરાતમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં કેટલાક દિવસોથી સતત ઘટાડો નોંધાતા સરકાર અને પ્રજામાં રાહત દેખાઈ છે. ૨૯મી ડિસેમ્બરના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૦૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૨૪૩૪૫૯ પહોંચી હતી. આ દિવસે ૭ દર્દીઓએ જીવ ગુમાવતાં કોરોનાનો ગુજરાતમાં કુલ મૃતકાંક ૪૨૯૫ જ્યારે ૯૯૯ લોકોએ ૨૯મીના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને હરાવતાં રાજ્યમાં કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા ૨૨૯૧૪૩ થઈ હતી. રાજ્યમાં રિકવરી રેટ વધીને ૯૪.૧૨ ટકાએ પહોંચ્યો હોવાના અહેવાલ ૨૯મીએ હતા.
રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટની ગુણવત્તા
કોરોના રેપિડ એન્ટિજન કીટની ગુણવત્તા હલકી નીકળતા ગુજરાતમાં બે કંપનીઓએ સપ્લાય કરેલી રેપિડ એન્ટિજન કીટના ચોક્કસ બેચ પાછા ખેંચી લેવાનો ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આદેશ તાજેતરમાં કરાયો હતો. બે કંપનીઓમાં ઉંમરગામની લેબકેરસ ડાયોગ્નોસ્ટિક ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને હરિયાણાની એસ.ડી. બાયોસેન્સર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ માત્ર ગુજરાત અને હરિયાણામાંથી જ નહિ, દેશના દરેક રાજ્યમાંથી રેપિડ એન્ટિજન ટેસ્ટ માટેની કીટ પાછી ખેંચી લેવા આદેશ કર્યો છે.