અમદાવાદઃ કોરોનાની મહામારીને પગલે ગુજરાતીઓ ઘરમાં કેદ થયાં છે જેના કારણે ગુજરાતમાં ટુરિઝમ ઉદ્યોગને વધુ અસર થઇ છે. કોરોનાને લીધે લોકોએ હરવાફરવાના સ્થળોએ જવાનું ટાળ્યું છે પરિણામે રાજ્યમાં ટુર ટ્રાવેલ્સ એજન્સીઓ જ નહીં પણ હોટલો ય જાણે બંધ અવસ્થામાં પડી છે.
લોકડાઉન બાદ ગુજરાતમાં મૃતઃપ્રાય અવસ્થામાં મુકાયેલાં ટુરિઝમ ઉદ્યોગને રૂ. ૭૦૦ કરોડનું નુક્સાન થયાનો અંદાજ છે. ટુરિઝમ ઉદ્યોગની દશા એવી જણાય છે કે, ટ્રાવેલ્સ એજન્સી, હોટલ ઉપરાંત ટ્રાન્સપોર્ટમાંથી કુલ મળીને ૩ લાખ લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. એક અંદાજ મુજબ ગુજરાતમાંથી વર્ષે ૧૫-૨૦ લાખ ગુજરાતીઓ આંતર રાજ્ય અને અન્ય દેશોમાં ફરવા જાય છે. ખાસ કરીને શિયાળુ અને ઉનાળુ વેકેશનમાં ગુજરાતીઓ વિવિધ ટુર પેકેજ થકી પ્રવાસે જાય છે.
ગુજરાતમાં હાલમાં ૧૦ હજાર કરતાં વધુ ટ્રાવેલ્સ એજન્ટને ધંધામાં મંદીથી મુશ્કેલી નડી રહી છે. કોરોનાને લીધે લોકોમાં એવો ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે કે, પ્રવાસ તો ઠીક, લોકો ઘરની બહાર નીકળતાં ય ડર અનુભવી રહ્યાં છે. આ ઉપરાંત હજુય મોટાભાગની રાજ્ય સરકારોએ પ્રવાસન સ્થળોએ જવાની છૂટ આપી નથી. લોકડાઉન બાદ આ પરિસ્થિતિને પગલે ગુજરાતમાં ટુર ટ્રાવેલ્સ એજન્સીઓની એવી દશા છે કે, કર્મચારીઓને પગાર આપવાના ફાફાં છે. કેટલીય ટુર ટ્રાવેલ્સ એજન્સીઓએ તો કર્મચારીઓને છૂટા કરી દીધા છે.
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત ચેપ્ટરના પ્રમુખ વિરેન્દ્ર શાહનું કહેવું છે કે, સપ્ટેમ્બર પછી ટુરિઝમ ઉદ્યોગ શરૂ થાય તેવા અણસાર છે. હજુ બે મહિના સુધી રાહ જોવી પડશે. એટલું ચોક્કસ છે કે, બધું રાબેતા મુજબ થશે ત્યારે ટુરિઝમને વેગ મળશે કેમ કે, લોકડાઉન બાદ લોકો એટલી હદે કંટાળ્યાં છે અને માનસિક રીતે ભાંગી પડયાં છે કે, લોકો ચોક્કસ પરિવાર સાથે ફરવા જશે તેવું અત્યારે લાગી રહ્યું છે.