કોરોનાના બહાને કોંગ્રેસે ગાંધી સંદેશ યાત્રા કેન્સલ કરી?

Wednesday 11th March 2020 06:32 EDT
 

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે દાંડીયાત્રાના રૂટ પર ‘ગાંધી સંદેશ યાત્રા’ કાઢવાની ચર્ચા રવિવારે બપોરે બેઠકમાં કરી હતી. બેઠકમાં ચર્ચા થઈ હતી કે, યાત્રાનો આરંભ ૧૨મી માર્ચે રાહુલ ગાંધી કરાવશે. જંબુસર પાસેથી પ્રિયંકા ગાંધી યાત્રામાં જોડાશે અને તેનું સમાપન ૬ઠ્ઠી એપ્રિલે શક્યતઃ સોનિયા ગાંધી કરશે. બેઠકમાં યાત્રાના સમાપનમાં સોનિયા ગાંધીને લાવવાના પ્રયાસો વચ્ચે અંતે આખી યાત્રા જ કોરોના વાયરસના ભયે કેન્સલ કર્યાનાં છેલ્લાં સમાચાર છે.  દિલ્હીમાં કોમી તોફાનો બાદ કોંગ્રેસે નરેન્દ્ર મોદી-અમિત શાહના ગઢ ગુજરાતમાંથી ગાંધી વિચાર ફેલાવવા અમદાવાદની દાંડી સુધી યાત્રાનું આયોજન કર્યું, પણ તે પાર પડશે નહીં.
રાજકારણમાં ચર્ચા છે કે મધ્ય પ્રદેશમાં આંતરિક ખટરાગને કારણે કોંગી સરકારની સ્થિતિ ડામાડોળ છે. આ જોતાં કેન્દ્રીય નેતાઓ મધ્ય પ્રદેશ સરકાર બચાવવાના કામે લાગ્યાં છે જેથી ‘ગાંધી સંદેશ યાત્રા’માં નેતાઓ હાજર રહી શકે નહીં. આ કારણે હાઇકમાન્ડે જ યાત્રા મૂલતવી રાખવાના આદેશ આપ્યા છે.
આ ઉપરાંત ગુજરાતમાં ૨૬મી માર્ચે રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણી છે. જો કેન્દ્રીય અને પ્રાદેશિક નેતાઓ યાત્રામાં કામે લાગે તો કોંગ્રેસી ધારાસભ્યોને અકબંધ રાખવા મુશ્કેલ પડે. ભાજપ આ તકનો લાભ લઇ શકે જેથી કોરોનાનું બહાનું ધરીને આખીય યાત્રા રદ કરાનું ચર્ચાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter