કોરોનાના ભયથી મુક્ત રહેવા સોશિયલ મીડિયાથી બને તેટલા દૂર રહો, સેલ્ફ રિલેક્સેશનની પ્રવૃત્તિ કરો

કોરોના એકલો નથી આવ્યો, તેની સાથે ભય, ભ્રમ, આશંકા પણ લાવ્યો છે

ખુશાલી દવે Wednesday 08th April 2020 05:41 EDT
 
 

અમદાવાદઃ સિચ્યુએશનલ એંક્ઝાઈટી. આ શબ્દ કદાચ તમે સાંભળ્યો હોઈ શકે અને જો તમે આ શબ્દ સાંભળ્યો જ ન હોય તો આજના સમયમાં તમે સૌથી સુખી માણસ છો. હાલમાં કોરોનાનો વૈશ્વિક ઉત્પાત છે ત્યારે અનેક લોકો કોરોનાના ભયે સિચ્યુએશનલ એંક્ઝાઈટીથી પીડાઈ રહ્યાં છે.
અમદાવાદના ખોખરામાં હિમાક્ષીબહેન દ્વિવેદી (૫૬) બે મહિનાથી મણકાની બીમારીથી પીડાય છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયબીટિસ પણ છે. તાજેતરમાં તેમને શરદી, ઉધરસ અને કફ હતાં. તેમણે ડોક્ટરની સલાહ લીધી. રિપોર્ટ કરાવ્યો તો તે પણ નોર્મલ આવ્યો. તબીબે દવાઓ આપીને ઘરમાં જ રહેવા સૂચના આપી. ઘરમાં બેઠાં હિમાક્ષીબહેન સતત વ્હોટ્સ એપ જોતાં રહેતાં. બાકી સમયમાં પણ ‘કોરોના... કોરોના...’ કર્યાં કરતાં. દીકરાએ મોબાઈલમાં નેટ બંધ કર્યું તો આ મુદ્દે પડોશી બહેનો સાથે ચર્ચા કર્યા કરે. મનમાં ઠસી ગયું કે પોતાને કોરોના જ થઇ ગયો છે. બસ, એક દિવસ કોઇને કહ્યા વગર ઘર છોડી ગયા ને નજીક આવેલા મંદિરમાં જઈને બેસી ગયાં. તેમને ભય હતો કે પોતાને ‘થઇ ગયેલા’ કોરોનાનો ચેપ ઘરનાને પણ લાગશે. લાંબો સમય કાઉન્સેલિંગ ચાલ્યા બાદ હિમાક્ષીબહેન ‘કોરોનાના ચેપમાંથી મુકત’ થયા છે અને હવે ઘરમાં શાંતિથી રહે છે.
અમદાવાદના સિનિયર સાયકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે, કોરોનાના ભયના કારણે આવા કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. કેટલાક જૂના તો કેટલાક નવા કેસમાં તણાવ, અસ્વસ્થતા, બેચેની, વ્યગ્રતા, ઉદ્વેગ, અકળામણ, રઘવાટ, ઉદ્વિગ્નતા, આવેશ, ખિન્નતા, અજંપો હોય તેવા ફોન આવી જ રહ્યાં છે અને હાલમાં હું ઘરેથી જ કાઉન્સેલિંગ કરી રહ્યો છું. ડિપ્રેશનથી કે એંક્ઝાઈટીના કેટલાક જૂના દર્દીઓ માનસિક રીતે રૂટિન કરતાં થોડાં વધુ ચિંતાગ્રસ્ત પણ દેખાય છે.
ડો. ભીમાણી જણાવે છે કે, કોરોના વાઈરસના ભય વચ્ચે બીક, નિરાશા, મનની મૂંઝવણ, અવિચારીપણાથી પીડિતોના કે પીડિતોના કુટુંબીજનોના ફોન આવે છે તેમાંથી એક કિસ્સો તો એવો છે કે સામાન્ય ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઓસીડી)થી પીડાતા એક બહેન હાલમાં કોવિડ–૧૯ના એવા આભાસી ભયમાં છે કે તેઓ જો નહાવા જાય તો દોઢેક કલાક નહાય છે. પાંચ - પાંચ મિનિટે હાથ ધુએ છે. ઘરમાં વધુ પડતી સાફસૂફી રાખવા પ્રયત્ન કરતાં રહે છે. બીજા એક કેસમાં સરકારે જાહેર કરેલા લોકડાઉનથી એક છોકરો માનસિક અસ્વસ્થ છે. એક આર્થિક સદ્ધર પરિવારનો આ સ્કૂલ બોય સતત ઘરમાં રહેવાના કારણે ગુસ્સામાં રહે છે. પ્રવર્તમાન સંજોગોમાં ઘરની બહાર ન નીકળવું જોઈએ એ પરિસ્થિતિ સમજી શકતો નથી. જિદ અને ગુસ્સાના કારણે પોતાના માતા-પિતા પર હાથ ઉઠાવી લેતાં પણ ખચકાતો નથી. આ બંને સહિત કેટલાક દર્દીઓની સારવાર વીડિયો કોન્ફરન્સિંગથી ચાલે છે.
ડો. ભીમાણી કહે છે કે, કોરોના સામે સાવચેતીના પગલાંરૂપે અપાયેલાં લોકડાઉનના કારણે આવા કેટલાય બાળકો છે કે જેમાં ચીડિયાપણું વધી રહ્યું છે, પણ બાળકોને પરિસ્થિતિ સમજાવવી જરૂરી છે અને ઘરમાં તેમને કોઈ પ્રવૃત્તિમાં વાળવા પણ જરૂરી છે.
હાલની પરિસ્થિતિમાં માનસિક સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઇએ? તેના જવાબમાં ડો. ભીમાણી કહે છે કે અત્યારે લોકડાઉન જાહેર કરાયું છે એટલે ઘરમાં જ રહો. સામાન્ય કસરતો, સેલ્ફ રિલેક્સેશન માટે મનગમતી પ્રવૃત્તિ કરો. ચિંતા કે વિચાર કરતા કરી મૂકે એવા સોશિયલ મીડિયા પરના મેસેજિસથી તો દૂર જ રહો.
સુરતના વિખ્યાત સાયકાયટ્રીસ્ટ ડો. મુકુલ ચોકસી કહે છે કે, માનસિક અસ્વસ્થતાના રિસર્ચ અને રિપોર્ટના આધારે કહું તો સામાન્ય રીતે, મળસ્કે - વહેલી સવારે ડિપ્રેશન કે બાયોલોજિકલ ડિપ્રેશનની સ્થિતિ દર્દીઓમાં વધુ રહે છે અને આખા દિવસ દરમિયાનની પ્રવૃત્તિઓ – ઘટનાઓનાં કારણે સાંજના સમયે એંક્ઝાઈટી વધુ રહે છે. કોરોનાના ભયને લીધે નવા કેસિસ સિચ્યુએશનલ એંક્ઝાઈટી ગણાવી શકાય. હાલમાં મારા સહિત ત્રણ મેડિકલ એક્સપર્ટની ટીમ કોરોનાના ભયથી પીડાતા લોકોના રોજના આશરે ૨૫ ફોન કોલ રિસિવ કરીએ છીએ. માત્ર ગુજરાતમાંથી જ નહીં, યુએસથી પણ ફોનકોલ આવી રહ્યાં છે. આમાં યુએસમાં રહીને ભણતા ભારતીય વિદ્યાર્થીઓનાં ફોનકોલ પણ હોય છે. હું એવા કેટલાય લોકોના સંપર્કમાં છું, જેઓ ત્યાં (યુએસ)માં પણ ઘરમાં જ છે અને લોકડાઉનના કારણે ભારત આવી ન શકતા હોવાથી ચિંતાતુર છે. તેમનું કાઉન્સેલિંગ ફોનથી કરાય છે. બીજી તરફ કેટલાક જૂના દર્દીનો ફિયર ફોબિયા વધી ગયો છે. મને જૂના દર્દીઓમાંથી કેટલાક ફોન એવા આવ્યા છે કે તમે સલામત તો છોને? તેમને એવી ચિંતા છે કે મને કંઈ થઇ જશે તો તેમની સારવારનું શું થશે? બીજી તરફ એક ભાઈ એવા છે કે સતત સોશિયલ મીડિયા મેસેજિસથી આડેધડ માહિતી મેળવે અને આગળ ધકેલતા રહે છે.
ડો. ચોકસી કહે છે કે હાલના સંજોગોમાં માનસિક અસ્વસ્થ જ નહીં, કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતીથી બચે અને બીજાને પણ બચાવે. અત્યારે તણાવ, ચિંતા કે કોરોનાના કાલ્પનિક ભયથી બચાવનો શ્રેષ્ઠ વિકલ્પ છે કે નર્વસ લોકોએ હાલમાં વધુ પડતા ટેલિફોનિક સંપર્કમાં ન રહેવું. દરેકે ઘરમાં રહેવું અને ગમતું કાર્ય કરવું જોઈએ. સોશિયલ મીડિયા પર સમય વીતાવવાના બદલે પરિજનો સાથે સમય વીતાવવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter