નવી દિલ્હીઃ કોવિડ-૧૯ રોગચાળા વચ્ચે ઉદ્યોગસાહસો અને રોજગારી માટે પૂરતી તક છે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેઓ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારંભને વર્ચ્યુઅલ સંબોધન કરી રહ્યા હતા. વડા પ્રધાને વિદ્યાર્થીઓને કહ્યું કે વિશ્વભરમાં મોટાપાયે પરિવર્તન આવી રહ્યું છે અને તેને પરિણામે ઉદ્યોગસાહસો અને રોજગારી માટે ઘણી તક ઉપલબ્ધ થઈ છે. મને વિશ્વાસ છે કે તમારી કુશળતા, પ્રતિભા અને વ્યવસાયિકરણ મારફત તમે પરિસ્થિતિઓમાંથી ઊભરી આવશો અને આત્મનિર્ભર ભારત મિશનમાં નવી તાકાત પૂરશો.
કાર્બન એમિશનના મુદ્દે વડા પ્રધાને જણાવ્યું હતું કે, દેશની કાર્બન ફૂટપ્રિન્ટમાં ૩૦-૩૫ ટકાનો ઘટાડો કરવાનું લક્ષ્ય છે. ચાલુ દાયકામાં ઊર્જાની જરૂરિયાતના મોરચે કુદરતી ગેસનો ઉપયોગ ચાર ગણો કરવાના પ્રયાસો ચાલે છે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે વિશ્વ આવી મોટી કટોકટીનો સામનો કરી રહ્યું છે તેવા સમયે સ્નાતકો માટે આ સરળ સ્થિતિ નથી. પરંતુ તમારી ક્ષમતાઓ આ પડાકારોની સરખામણીએ ઘણી મોટી છે.
તેમણે જણાવ્યું હતું કે, એવું નથી કે સફળ માણસોએ સમસ્યાનો સામનો કર્યો હોતો નથી, તેઓ એવા લોકો હોય છે જે પડકાર ઉપાડી લે છે, તેનો સામનો કરે છે, તેને પરાસ્ત કરે છે, સમસ્યાને હલ કરે છે અને સફળ બને છે.
મોદીને મળ્યા પછી માન્યતા બદલાઈઃ અલીમુદ્દીન
આ દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત પૂર્વ વિદ્યાર્થી સુલતાન અલીમુદ્દીને કહ્યું કે, હું ગુજરાત આવવા માંગતો નહોતો. પહેલી વાર વર્ષ ૨૦૦૮માં આવ્યો એડમિશન લીધું. તે વખતે હું મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. તેમને મેં તેમને પવિત્ર કુરાન ભેટ આપ્યુ હતું. પહેલી માર્ચ ૨૦૧૦માં પહેલી વાર મળ્યો અને પછી ગુજરાત વિશેની મારી માન્યતા, વિચારધારા જ બદલાઈ ગઈ હતી.