ગાંધીનગરઃ ગુજરાત સરકારની ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું જીનોમ સિક્વન્સ એટલે કે વંશસૂત્ર શોધી લીધું હોવાના અહેવાલ છે. કોવિડ-૧૯ તરીકે ઓળખાતા વાઇરસના આંતરિક અને બાહ્ય બંધારણ, તેમાં આવેલા ફેરફાર વગેરેની શોધ આમાં સામેલ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટર પર આ માહિતી ૧૬મી એપ્રિલે શેર કરી હતી.
જીબીઆરસીના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોશીએ જણાવ્યું હતું કે, આ વર્તમાન વાઇરસનું ૯મું વર્ઝન છે અને તે શોધી લેવાયું છે. આ અંગે દુનિયામાં હજુ સુધી ૬ મ્યુટેશનની ઓળખ કરાઇ રહી છે. હાલ જે શોધ કરાઇ છે તેમાં આ વાઇરસના બંધારણને ઓળખીને તેમાં થયેલા ફેરફાર એવા નોંધાયા છે કે આ વાઈરસ મનુષ્યના શરીરમાં પ્રવેશી તેમાં જાતે જ ટકી રહેવાના બદલાવ પણ આવ્યા છે. શોધના કારણે જાણી શકાશે કે હવે આ વાઈરસ કેટલા વેગથી ત્રાટકી શકે અને ક્યારે નબળો પડી શકે તથા આ જાણકારી કમ્પ્યુટર પર પણ ચકાસી શકાશે. તેમાં મળતી સફળતાને આધારે લેબ પરીક્ષણ કરાશે તો દવા કે રસીના સંશોધનમાં પણ ઝડપ આવી શકશે. આ વાઇરસ પંદર દિવસે એક વખત બંધારણ બદલે છે.
હાલમાં તો પ્રાથમિક સ્તરે આ અંગે કામગીરી થઇ રહી છે અને અત્યારે એક પેશન્ટમાંથી વાઇરસના જીનોમ-સંરચના નક્કી કરાઈ છે. તેમાં જે મ્યુટેશન મળ્યા છે. તેના પરથી રાજ્યમાંથી જુદા જુદા સેમ્પલ લઈ અભ્યાસ ચાલે છે.