ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ ભાજપ સરકારને પાતળી બહુમતી સાથે જીત મળતાં કુસંપ વધ્યો છે. આ કુસંપને ઠેકાણે પાડવા ભાજપે કવાયત હાથ ધરી છે. આ કવાયતના ભાગ રૂપે મંત્રીમંડળમાં જે સમાજના અને વિસ્તારના ધારાસભ્યોને સમાવી શકાયા નથી, તેવા ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. ટૂંક સમયમાં ૧૦ ધારાસભ્યને સંસદીય સચિવ તરીકે સમાવાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો છે પણ ૯૯ બેઠક જ મળતાં પાતળી બહુમતીના કારણે ધારાસભ્યોની માગણી વધી ગઈ છે. વળી, વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવતી હોવાથી ભાજપ પણ ધારાસભ્યોને નારાજ કરવા માગતો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ સંજોગોમાં ગત વિધાનસભાની વર્ષ ૨૦૧૭માં પૂરી થનારી ટર્મમાં પણ લોકસભાની ચૂંટણી પછી સંસદીય સચિવોની નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી અને વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.


