ગાંધીનગરઃ અન્ન સુરક્ષા ધારાના અમલીકરણની સમીક્ષા માટે ગુજરાત આવેલા કેન્દ્રના ગ્રાહક સંબંધો, અન્ન અને જાહેર વિતરણ પ્રધાન રામવિલાસ પાસવાને ૨૧મી માર્ચે કહ્યું હતું કે, ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં એસસી-એસટી ઉમેદવારોને નોકરીઓ માટે પણ અનામતની નીતિ હોવી જોઈએ. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ)ના રાજ્યના અધિકારીઓ તથા મુખ્ય સચિવ જી. આર. અલોરિયા સહિતના સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે અલગ અલગ બેઠકો બાદ પાસવાને પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું કે, દેશમાં વિવિધ સ્થળે નકસલવાદ ફેલાયો છે. સ્થાનિક યુવાનોની જમીનો છીનવાય છે. આ જમીનની નીચે સોનું અને કોલસો ધરબાયેલો છે. આ જમીન છિનવાતા યુવાનો નકસલવાદ તરફ ધકેલાય છે.

