અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણીમાં ૨૯મી મેએ ખાનગી હોસ્પિટલોને સણસણતો જવાબ આપ્યો હતો. ખાનગી હોસ્પિટલોએ ફી નહીં ઘટાડવા કરેલી અરજી સામે ચિફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સખત નારાજગી દર્શાવતાં જણાવ્યું હતું કે, ઉપરવાળાનો થોડો તો ડર રાખો. કોરોનાનો સંકટકાળ ચાલે છે તેવા સમયે આ પ્રકારની અરજી કેવી રીતે કરી શકો? સરકારને નિર્દેશ કર્યો હતો કે, ખાનગી હોસ્પિટલોને સમજાવો. આવા કપરા સમયમાં લોકોના ભલા માટે કામ કરે. આ સમય નફાખોરીનો નથી.
હાઈ કોર્ટે તાકીદ કરી હતી કે, અમારે આ મામલે કડક પગલાં ભરવા પડે તે માટે મજબૂર ના કરતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હાઇ કોર્ટે ખાનગી હોસ્પિટલો તથા સરકાર સામે આકરું વલણ દાખવ્યું હતું. અન્ય એક અરજી અંગે હાઇ કોર્ટે સવાલ કર્યો હતો કે અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં ૧૦૮ આઈસીયુ અને ૨૨ વેન્ટિલેટર પડી રહ્યા હોવા છતાં હોસ્પિટલ શરૂ કેમ નથી કરતી?