આણંદ:મધ્ય ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, ગુજરાતમાં વિકાસ ગપગોળા સાંભળી સાંભળીને ગાંડો થઈ ગયો છે. મોદીજીએ કોઈને પૂછયા વગર નોટબંધી જાહેર કરી દીધી. જીએસટીને કારણે રાજ્યોના વેપારીઓ પરેશાન છે. ખેડા, આણંદમાં સભા સંબોધતાં રાહુલે જણાવ્યું કે, રાજ્યમાં ૨૨ વર્ષથી રાજ કરી રહેલી ભાજપ સરકારે માત્ર ૧૦થી ૧૫ ઉદ્યોગપતિઓનો જ વિકાસ કર્યો છે. વિકાસનાં નામથી ગુજરાત મોડલ રજૂ કરી રહેલા ભાજપના નેતાઓનાં જુઠ્ઠાણાથી લોકો પરેશાન છે. ગુજરાત મોડલ જેવું કાંઈ છે જ નહીં, હકીકતમાં જે વિકાસ થયો હતો તે કોંગ્રેસનાં શાસનમાં થયો હતો. ભાજપ સરકારે સ્ટેન્ડ અપ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, મેકિંગ ઈન્ડિયા જેવી યોજનાઓ બનાવી જેનો લાભ ગરીબ, મધ્યમવર્ગ, ખેડૂતો કે કચડાયેલા વર્ગને ક્યારેય મળ્યો જ નથી. ભાજપનાં શાસનમાં શિક્ષણથી માંડીને તબીબી ક્ષેત્રની તમામ સેવાઓને મોટી કોર્પોરેટ કંપનીઓને સોંપીને વેપારીકરણ કરાયું છે. કોંગ્રેસની સરકાર બનશે તો ગરીબો, ખેડૂતો, મધ્યમવર્ગનાં લોકો સહિત તમામ લોકોને કોઈપણ જાતના ભેદભાવ વગર સરકાર આ સેવાઓ પૂરી પાડશે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને મેક ઇન ઈન્ડિયા જેવી સ્કીમો ચલાવાય છે. રોજ ૩૦ હજાર નવા યુવાનો માર્કેટમાં આવે છે સ્કીમોનો લાભ માત્ર ૪૨૦ લોકોને મળ્યો છે. આમ માત્ર વાતો જ મોટી છે, પરિણામ કાંઈ નથી.