અમદાવાદઃ ગુજરાત સરકારની સંશોધન, તાલીમ અને પ્રકાશન માટેની સ્વાયત્ત સંસ્થા મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના કાયમી અધ્યાપક અને એવોર્ડ વિજેતા લેખિકા ડો. પારૂલ ટીના દોશીને કોઈ પણ જાતની પૂર્વ નોટિસ, મેમો કે કોઈ તપાસ કાર્યવાહી કર્યા વિના જ ફરજિયાત નિવૃત્તિના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારાયો છે. જેમાં હાઈ કોર્ટે સંસ્થા, રાજ્ય સરકાર અને સંસ્થાના મહાનિયામક એવા અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી પાંચમી માર્ચે છે.
રિટમાં આક્ષેપો કરાયા છે કે, ડો. પારૂલ ટીનાને કોઈ પણ જાતની નોટિસ કે મેમો આપ્યા વિના કે તપાસ કાર્યવાહી કર્યા વિના જ સંસ્થાનના મહાનિયામક તથા ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ મનસ્વી રીતે ફરજિયાત નિવૃત્તિનો આદેશ કર્યો હતો. જે આદેશ અન્યાયી, ગેરબંધારણીય અને કિન્નાખોરી રાખીને કરવામાં આવેલો હોવાથી પડકારાયો છે. પાંચમી જાન્યુઆરી ૨૦૨૧ના હુકમથી ડો. દોશીને તેમની નિવૃત્તિ વયના છ વર્ષ બાકી હોવા છતાં તેમને ફરજિયાત નિવૃત્ત કરવાનું ફરમાન કરાયું હતું. આ કેસમાં રજૂઆતો કરાઈ છે કે, ત્રીજી માર્ચ ૨૦૨૦ના રોજ કોઈ પણ એજન્ડા વિના એકાએક બોલાવેલી મિટિંગમાં મહાનિયામક મિત્રાએ ડો. દોશીને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી અને તેમનું બધાની વચ્ચે અપમાન કર્યું હતું. હકીકતમાં અદ્યાપન માટેની પોતાની તૈયારી હોવાનું જણાવતા ડો. દેશીએ મિત્રા સમક્ષ એવો આગ્રહ રાખ્યો હતો કે, સંસ્થામાં ચલાવાતા એમએસબલ્યુમાં ભણાવવા માટે અદ્યાપકોએ યુજીસી અને યુનિ.ના ધારાધોરણ મુજબ પીજી ટીચર્સ તરીકેની માન્યતા લેવાની હોય છે. એ કાર્યવાહી કરાય એવી વાતથી મહાનિયામક ઉકળી ઉઠ્યા હતા. અરજદાર પોતે સમાજશાસ્ત્ર - માનવસાસ્ત્રનાં અધ્યાપક છે અને પી.એચ.ડી.ના ગાઈડ પણ રહ્યાં હોવાથી પોતાને આ જવાબદારી સોંપવામાં આવે એવી માગણી કરી હતી. મહાનિયામકે દલીલ કરી હતી કે, જે તે વ્યક્તિની ગેરકાયદેસર નિમણૂક થયેલી છે અને જેને આ વિષય સાથે સંબધ નથી એવી વ્યક્તિને આ કોર્સ ચલાવવા માટે અપાયો છે.

